ગુજરાત ચૂંટણી:હવે આ સમાજના અનામતના મુદ્દાએ જોર પકડ્યું!
સત્તાધારી પક્ષ સામે હવે આદિવાસીઓએ પણ વિરોધ શરૂ કર્યો છે. તેમનો આરોપ છે કે, તેમના અનામત ક્વોટાના દુરૂપયોગ થઇ રહ્યો છે. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપની મુસીબતોમાં વધારો થયો છે. સત્તાધારી પક્ષ સામે હવે આદિવાસીઓએ પણ વિરોધ શરૂ કર્યો છે. તેમનો આરોપ છે કે, તેમના અનામત ક્વોટાના દુરૂપયોગ થઇ રહ્યો છે અને એની સામે તેમણે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યમાં પહેલેથી પાટીદાર સમાજ સરકારનો વિરોધ કરી રહી છે, એવામાં સત્તાધારી પક્ષને આશા હતી કે, આદિવાસીઓના મત તેમને મળશે. છેલ્લા કેટલાક સમયથી તેમણે આદિવાસીઓને રિઝવવા માટેની પ્રયત્નો પણ શરૂ કર્યા હતા, પરંતુ તેમના આ પ્રયત્નો નિષ્ફળ ગયા હોય એમ લાગી રહ્યું છે. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપ ગારાશિયાનું કહેવું છે કે, સરકારે રબારી, ભરવાડ અવને ચારણ સમાજના કેટલાક એવા લોકોને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર આપ્યું છે, જેમના પૂર્વજો ગીર જંગલમાં વસતા હતા અને જેમને વર્ષ 1956માં અનુસૂચિત જનજાતિના હકો આપવામાં આવ્યા હતા. પરંતુ હવે તેઓ ગીર જંગલમાંથી સ્થળાંતરિત કરી ગયા છે અને સરકારી નીતિ અનુસાર આ અનામત માત્ર ગીરમાં વસતા સમાજ માટે છે. તેમના મતે રબારી, ભરવાડ અને ચારણ લોકો આદિવાસીઓ નથી, પરંતુ વિચરતા પશુપાલકો છે.
કઇ રીતે શરૂ થયો વિરોધ?
પ્રદીપ ગરાશિયાએ આગળ જણાવ્યું કે, 'વર્ષ 1956માં સરકાર તરફથી જે ખરડો પાસ કરવામાં આવ્યો તેમાં કશું ખોટું નહોતું. મુસીબત ત્યારે ઊભી થઇ જ્યારે ગુજરાત સરકારે વર્ષ 2007 અને જાન્યુઆરી 2017માં નોટિફિકેશન્સ જાહેર કર્યા, જે અનુસાર વનવાસીઓના વંશજને પણ એસટી સર્ટિફિકેટની અનુમતિ આપવામાં આવી. જેને કારણે આદિવાસીઓને મળતા અનામતના લાભમાં ભાગલા પડવાનો ભય ઊભો થયો.' છેલ્લા ત્રણ મહિના સુધી સરકારના આ નોટિફિકેશન સામે પણ કોઇએ ખાસ વાંધો નહોતો ઉઠાવ્યો. પરંતુ ગત ત્રણ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા એસટી માટે અનામત પોસ્ટ્સ પર 68 નાયબ પોલીસ સુપરિટેન્ડન્ટ અને 3 નાયબ કલેક્ટરની નિમણુક કરવામાં આવી હતી. જેમાંથી 35 રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો છે.
18 નવેમ્બરના રોજ સંમેલન
આ સમાચાર ફેલાતા જ આદિવાસીઓએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા અને 11 ઓક્ટોબરના રોજ તેમણે રાજ્ય સરકારને વર્ષ 2007 અને 2017માં બહાર પાડેલ નોટિફિકેશન્સ પરત લેવા દબાણ કર્યું હતું. આ વિરોધ હજુ પણ ચાલુ જ છે, તેમની માંગણી છે કે, ગીર જંગલોમાં વસતા લોકોના વશંજોને જે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તે રદ્દ કરવામાં આવે. હવે આ મામલે રાજ્યના 116 જેટલા અનુસૂચિત જનજાતિના લોકો સામે આવ્યા છે અને તેઓ 18 નવેમ્બરનાના રોજ સંમેલન કરનાર છે, જેમાં તેઓ આગળ શું પગલા લેવા તથા આવતા મહિને ચૂંટણીમાં આ અંગે શું વલણ રાખવું એ અંગે નિર્ણય લેશે. પ્રદીપ ગરાશિયાએ જણાવ્યું કે, આ સંમેલનમાં 116 સંગઠનોને પ્રતિનિધિઓ ઉપરાંત રાજ્યની તમામ 29 ટ્રાઇબલ સબકાસ્ટના પ્રમુખો પણ હાજર રહેશે. તાપી જિલ્લાના વ્યારામાં આ સંમેલન યોજાશે. જિલ્લા સ્તરે કાર્યરત આદિવાસી સંસ્થાના કાર્યકર્તાઓ પણ સંમેલનમાં પહોંચશે.
આદિવાસી આંદોલન
આદિવાસીઓનું આ આંદોલન ધીમી ગતિએ મોટું સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. ભરૂચથી આદિવાસી બાબતોના રાજ્યના ભૂતપૂર્વ પ્રધાને જણાવ્યું હતું કે, આદિવાસીઓને મળતી અનામતનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, એ વાત સાચી છે. અનામતનો આ દુરૂપયોગ વર્ષ 1956થી થઇ રહ્યો છે અને આ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેના ચૂંટાયેલા નેતાઓ જવાબદાર છે. જો આ અંગે ટૂંક સમયમાં જ કોઇ પગલું ભરવામાં ન આવ્યું, તો આ વિરોધ સમગ્ર આદિવાસી સમાજમાં પ્રસરશે. જુલાઇ, 2015માં પાટીદારોએ અનામત આંદોલનો શરૂ કર્યા ત્યારથી ભાજપના સામાજિક અંકગણિતના કેન્દ્રમાં આદિવાસી સમાજ હતો, કારણ કે રાજ્યની કુલ વસતીના લગભગ 15 ટકા લોકો આ સમાજ હેઠળ આવે છે અને 27 નિર્ણાયક મસવિસ્તારોમાં તેઓ નિર્ણાયક મત ધરાવે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
ગત વિધાનસભા ચૂંટણીમાં આ 27 બેઠકોમાંથી 16 પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, ભાજપને 10 બેઠકો મળી હતી અને અન્ય એક બેઠક જનતા દળ(યુનાઇટેડ)ના છોટુભાઇ વસાવાના ફાળે ગઇ હતી. વર્ષ 2007માં પણ કંઇક આવું જ થયું હતું. તે વખતે 26 અનામત બેઠકો હતી, જેમાંથી 16 કોંગ્રેસ, 9 ભાજપ અને એક જનતા દળ(યુનાઇટેડ)ના ફાળે આવી હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વિશ્વાસ હતો કે, તેમને આદિવાસી સમાજના મતનો વધુ લાભ મળશે, કારણ કે આરએસએસ તથા અન્ય પક્ષના અન્ય કેટલાક સંગઠનો દ્વારા કેટલાક કાર્યો પાર પાડવામાં આવ્યા હતા. જો કે, કોંગ્રેસે પણ આ વિસ્તારોમાં સત્તાધારી પક્ષ પર આરોપ કરવાની એક પણ તક જતી કરી નથી. આથી હવે આખરે આ સમાજ ચૂંટણી ભાજપને મત આપશે કે કોંગ્રેસને, એ જોવું રહ્યું.