વ્યારામાં આદિવાસી મહાસંમેલન, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી હાજર
આદિવાસીઓએ બોગસ પ્રમાણપત્રોના વિરોધમાં યોજ્યું મહાસંમેલનચૂંટણી પહેલાં વિફર્યો આદિવાસી સમાજદલિત નેતા જીજ્ઞેશ મેવાણી પણ સંમેલનમાં હાજર
રાજ્યમાં પાટીદાર અનામત મુદ્દો ચૂંટણી પહેલા હાલ મહત્વનો વિષય બન્યો છે, ત્યારે આદિવાસીઓના અનામતના મુદ્દાએ પણ જોર પકડ્યું છે. આદિવાસીઓને સરકાર દ્વારા આપવામાં આવતા અનામતના ક્વોટાના દુરૂપયોગ સામે આદિવાસીઓએ વિરોધ શરૂ કર્યો છે. આ માટે શનિવારે વ્યારામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધારણીય હકો તથા અધિકારો માટેના આ મહાસંમેલનમાં આદિવાસી નેતાઓ અને મટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રતિમા શિંદે અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ અહીં હાજર રહ્યા હતા. તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસે લંબાવ્યો હાથ
મહાસંમેલનમાં આદિવાસી સમાજના આંદોલનકારીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલ કેસ પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. તો કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, બોગસ પ્રમાણપત્રો બાબતે કોંગ્રેસ આદિવાસીઓ સાથે છે અને સત્તા પર આવતા આ બાબતે તપાસ કરાવી આરોપીને સજા કરવામાં આવશે.
શું છે મુદ્દો?
વર્ષ 1956માં સરકાર દ્વારા ગીર જંગલમાં વસતા આદિવાસી સમાજને અનુસૂચિત જનજાતિના હકો આપવામાં આવ્યા હતા. આમાં કેટલાક રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો પણ હતા, જેમના વંશજો હવે સ્થળાંતરિત કરી ગયા છે. આમ છતાં, તેમની પાસે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો છે અને તેમને આ હેઠળ લાભો પણ મળે છે. જેનો આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે, કારણ કે તેમના મતે આ લોકો આદિવાસીઓ નથી.