છેલ્લી ઘડીએ જાહેર થશે કોંગ્રેસના ઉમેદવારોની યાદી:ભરતસિંહ સોલંકી
કોંગ્રેસના ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ જાહેર થશે: ભરતસિંહ સોલંકીપત્રકાર પરિષદમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું, ભાજપ જાદુગરોની પાર્ટીઆ અંગે વધુ વાંચો અહીં...
વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક પછી એક ફોર્મ ભરી રહ્યા છે ત્યારે રાજ્યમાં નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ પણ સતત ચાલુ જ છે. મંગળવારે અમિત શાહે ભાવનગર ખાતે રાહુલ ગાંધી પર કેટલાક પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ ગુજરાતને પર્યટન સ્થળ માની લીધું છે, તેઓ દર ત્રણ દિવસે અહીં આવી જાય છે. મેં તેમના આટલા ભાષણો સાંભળ્યા, પરંતુ તેમનો મુદ્દો શું છે, એ જ નથી સમજાતું. આનો જવાબ આપતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમિત શાહ રાહુલ ગાંધી વિશે બોલવા સિવાય કોઇ કામ કરતા નથી. ભાજપ આખી જ જાદુગરોની પાર્ટી છે, ખોટા વચનો આપવા સિવાય કોઇ કામ કરતી નથી.
તેમણે કાશ્મીર મુદ્દે પણ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપના રાજમાં અનેક સૈનિકો માર્યા ગયા. મોટી મોટી વાતો કરનારા પીએમ આજે આ અંગે ચૂપ છે. નેપાળ સાથેના સંબંધો બગડી ગયા છે અને ચીનની સરહદે આપણી શું પરિસ્થિતિ છે, એ આપણે સૌ જાણીએ છીએ. આ પહેલા તેમણે કોંગ્રેસની ઉમેદવારોની યાદી અંગે વાત કરતાં કહ્યું હતું કે, રણનીતિના ભાગરૂપે હવે ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે રવિવારે રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જે પછી ચારે બાજુથી તેમણે ઉગ્ર વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને બીજી 13 ઉમેદવારોની જાહેર કરેલ યાદીમાં જૂના યાદીના ચાર નામોમાં પરિવર્તન પણ કરવામાં આવ્યું હતું. આ કારણે કોંગ્રેસે છેલ્લી ઘડીએ નામ જાહેર કરવાની રણનીતિ નક્કી કરી હોય એમ લાગે છે.