ચૂંટણીને ધ્યાનમાં રાખી BJPએ કરી પ્રવક્તાઓની વરણી
7 લોકો આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રવક્તા તરીકેની કામગીરી ઉઠાવશે. સાથે જ પૂનમ માડમના ખંભાળિયા સીટ મામલે પણ વિગતવાર જાણકારી મેળવો અહીં
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં તેમના પ્રવકતાઓની વરણી કરી છે. આ અંગેની માહિતી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોબા ખાતે આવેલા ભાજપ કાર્યાલય શ્રીકમલમ ખાતે આપી હતી. હવેથી પક્ષને લગતી માહિતી આ પ્રવકતાઓ દ્વારા જ જાણવા મળશે. આ પ્રવક્તાઓની ટીમમાં સાત લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના વરિષ્ઠ ગણાતા ડોક્ટર જયનારાયણ વ્યાસ, તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા અને પ્રદેશ મીડિયા સેલના પૂર્વ કન્વીનર રહી ચૂકેલા ડોક્ટર જગદીશ ભાવસાર તથા સાંસદ કીરીટ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય જગદીશ પંચાલ તથા પ્રદેશ મીડિયા સેલના પૂર્વ કન્વીનર યમલભાઇ વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જોકે આ સાથે સાથે એક એવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં વ્યાપક બની છે કે દેવભૂમિ દ્વારકાની મહત્વની ગણાતી ખંભાળિયાની સીટ પરથી ભારતીય જનતા પાર્ટી પૂનમ માડમને બેઠક પર ઉતારશે, પૂનમ માડમ વર્ષ 2012માં આ બેઠક પરથી જ 38, 382 મતે જીત્યા હતા. તો કોંગ્રેસ આ વખતે માજી સાંસદ વિક્રમ માડમને ઉતારે તેવી શક્યતા છે.