બધાની ભાઇબંધી કરી કોંગ્રેસ પસ્તાઇ, હવે ટિકિટ કોને આપવી?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 19 નવેમ્બરના રોજ કોંગ્રેસ 89 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. પણ તે પહેલા કોંગ્રેસ પસાર થઇ રહી છે આ મુશ્કેલીમાંથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ તેના 70 ઉમેદવારોના નામ શુક્રવારે જાહેર કરી લીધા છે. પણ કોંગ્રેસ હજી પણ તેના ઉમેદવારોના નામ જાહેર કરવા મામલે બે દિવસ રાહ જુઓની વાતો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આ વખતે ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરને તો પોતાની સાથે જ જોડી લીધા જ છે સાથે એનસીપી અને જેડી (યુ) સાથે પણ ગઠબંધનના મૂડમાં છે. વળી તેના એ 44 ધારાસભ્યો જેણે અહમદ પટેલને રાજ્યસભાની ચૂંટણી વખતે ટેકો આપ્યો હતો તેમને પણ ટિકિટ આપવાથી તે વચનબદ્ધ છે. આમ બધી બાજુથી કોંગ્રેસ ટિકિટ આપી કોને ખુશ કરવા કોને નાખુશ તેવી સ્થિતિ ઊભી થઇ છે. અને આજ કારણ છે કે તે હજી પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કરી શકી.
આતંરિક વિવાદ
કોંગ્રેસમાં ચૂંટણી વખતે દર વખતે ટિકિટ મામલે આંતરિક વિવાદ ઊભો થાય છે અને આ વખતે પણ તેવું જ થયું છે. હાર્દિક પટેલ સાથે જ્યાં અનામત મામલે ચર્ચા થઇ રહી છે ત્યાં જ પાસના કેટલાક નેતાઓને ટિકિટ આપવાની વાત પણ ચર્ચાઇ રહી છે. અને નવા આવેલા ઠાકોર સેનાના નેતાઓને પણ ટિકિટ આપવાની વાત થતા જૂના નેતાઓ જે 22 વર્ષથી કોંગ્રેસની સાથે છે તે નાખુશ થયા છે. વળી કોંગ્રેસ આ વખતે હાર્દિકના ગ્રુપના નેતાઓને વધુ ટિકિટ આપવાની પણ રણનીતિ બનાવી રહ્યું છે જેથી પાટીદારોને ખુશ કરી શકાય પણ આ ચક્કરમાં તેના જૂના નેતાઓની નાખુશ થયા છે.
છોટુ વસાવા
આ ઉપરાંત શરદ યાદવ ગ્રુપમાંથી તે છોટુ ભાઇ વસાવા ઉપરાંત તેમના જૂથને 5 થી 7 બેઠકો મળે તેવી માંગણી કરી રહ્યું છે. તો નવી જોડાયેલી ઠાકોર સેનાના નેતાઓને પણ પાંચથી સાત બેઠકો પર પોતાના ખાસમખાસને રાખવા છે. એનસીપી પણ ગઠબંધનના નામે ટિકિટો કેટલી આપશો તે ચર્ચામાં છે. ત્યારે હવે કોંગ્રેસ માટે બધાથી ભાઇબંધી કરી ટિકિટ ટાણે જાતે દુખ ઊભું કર્યા જેવી સ્થિતિ સર્જાઇ છે
19 નવેમ્બર
સુત્રોથી મળતી માહીતી મુજબ 19 નવેમ્બર 2017ના રોજ કોંગ્રેસ તેના પ્રથમ 89 ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના છે. જેમાં મોટી સંખ્યાં તે 44 નેતાઓ હશે જેમણે રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને સાથ આપ્યો હતો. સાથે જ કેટલાક નવા ચહેરા પણ આ વખતની ચૂંટણીમાં ભાજપ ઉતારે તેવી સંભાવના છે.
અપક્ષમાં જોડાયા
તો બીજી તરફ ટિકિટ ન બળવાની સંભાવના હેઠળ ચૂંટણી પહેલા જ સાવરકુંડલાના બે કોંગ્રેસી આગેવાનોએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આમ ભાજપ પછી કોંગ્રેસના પણ કેટલાક ઉમેદવારોએ ટિકિટની ખગારી આશા પક્ષ પાસેથી છોડી છેલ્લે ટાણે અપક્ષ ઊભા રહીને પોતા પોતાના જૂથને જોડી વોટ તોડવાનો પ્રયાસ કર્યો છે. જે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે.