રાહુલના BJP પર પ્રહારો: 1 જાદુગર શું ઓછા હતા?
શુક્રવારે રાત્રે અમદાવાદ ખાતે રાહુલ ગાંધીએ ગજવી સભાભાજપ અને નરેન્દ્ર મોદી પર કર્યા આકરા પ્રહારોઆ અંગે વધુ વાંચો અહીં...
શુક્રવારથી રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના બીજા તબક્કાની શરૂઆત કરી હતી. સવારે સૌપ્રથમ તેમણે પોરબંદર ખાતે માછીમારો સાથે સંવાદ કરી સભાનું સંબોધન કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદમાં દલિત સ્વાભિમાન સભાનું સંબોધન કર્યું હતું તથા 5000 દલિતો દ્વારા બનાવવામાં આવેલ 125 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ તેમણે મેડિકલ તથા શિક્ષણ ક્ષેત્રના લોકો સાથે પણ સંવાદ કર્યો હતો અને તેમની મુસીબતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. શુક્રવારે સાંજે નિકોલ ખાતે તેમણે યુવા રોજગાર સમૃદ્ધ નગર સભાનું સંબોધન કર્યું હતું. તેમણે ત્રણ નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી. જય સરદાર, જય ભવાની અને જય ભીમ!
'એક જાદુગર ઓછા હતા?'
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મેં સમાચાર પત્રમાં વાંચ્યુ કે, ભાજપ આ વખતે કેમ્પેન માટે જાદુગરોની મદદ લઇ રહ્યાં છે. મને વાંચીને વિચાર આવ્યો કે, શું એક જાદુગર ઓછા છે? તે બીજા જાદુગરોને બોલાવવાની જરૂર પડી છે! એક મેળામાં મેં જોયું હતું કે, જાદુગર જે ટ્રિક કરે એને લોકો પકડી લેતા હતા. આવું જ કંઇક મેઇન જાદુગર સાથે થઇ રહ્યું છે. ગત વર્ષે તેમણે 8 નવેમ્બરના રોજ 500 અને 1000ના નોટને ગાયબ કરવાનો જાદુ કર્યો હતો. એ પછી જાદુનો બીજો ખેલ શરૂ થયો. બેંકના દરવાજે જનતાની લાઇન અને દેશના અમીર ચોરો પાછળા રસ્તે બેંકમાં ગયા અને એસીમાં બેઠા-બેઠા પોતાના કાળા નાણાંને ધોળામાં બદલી કાઢ્યા. એક તોફાન આવ્યું અને એમાં જાદુથી એક કંપની સામે આવી. જાદુથી જય શાહની કંપનીએ ત્રણ મહિનામાં 50 હજારને 80 કરોડમાં બદલી કાઢ્યા. નોટબંધી બાદ ગબ્બર સિંહ ટેક્સનો જાદુ થયો. રાત્રે 12 વાગ્યાનો સમય એમને ખબર નહીં શા માટે પસંદ છે? 12 વાગે નોટબંધી, ત્યાર બાદ 12 વાગે જીએસટી. પરિણામ એ છે કે, આજે રાજ્યામાં 30 લાખ યુવાઓ બેરોજગાર છે.'
'ગુજરાત પાસે બહુ શક્તિ છે'
'વાયુ સેનાએ રફાયલ વિમાન ખરીદ્યું. જાદુથી, કોઇ પ્રક્રિયા વિના રફાયલ ડીલ બદલાઇ ગઇ, કેવી રીતે? જાદુગર ફ્રાન્સ ગયા અને જાદુથી રફાયલ ડીલ બદલાઇ ગઇ. હવે અમે કહીએ છીએ કે, પાર્લામેન્ટ ખોલો. પરંતુ ના, એમનું કહેવું છે કે, ગુજરાત ચૂંટણી પહેલાં પાર્લામેન્ટ નહીં ખુલે. રફાયલ ડીલમાં પરિવર્તન કઇ રીતે તયું, રક્ષા મંત્રીને જાણ હતી કે નહીં, સવાલોના જવાબ તો આપો. નેનો યોજનામાં 35 હજાર કરોડ રૂપિયા રોકવાને બદલે એ પૈસા જો યુનિવર્સિટી અને હોસ્પિટલો પાછળ ખર્ચાયા હોત તો આજે સ્થિતિ કંઇ અલગ હોત. કે પછી અમદાવાદ કે સુરતના નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ પાછળ રોકવામાં આવ્યો હોત, તો દેશ ચીન સાથે હરીફાઇ કરવા આજે સક્ષમ બન્યો હોત. અમે ગુજરાતમાં આ પરિવર્તન લાવવા માંગીએ છીએ. 22 વર્ષથી તમને કેહવામાં આવ્યું છે કે, તમારામાં કોઇ શક્તિ નથી, માત્ર એક વ્યક્તિ પાસે છે શક્તિ. સાચી વાત તો એ છે કે, ગુજરાત પાસે બહુ શક્તિ છે.'