કોંગ્રેસનો BJPને સવાલ, બાળકોના આરોગ્ય સાથે ચેડા કેમ?
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે શુક્રવારે બપોરે પત્રકાર પરિષદનું સોબંધન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે રાજ્યમાં પોલિયો વેક્સિનેશનમાં થતા ગોટાળા અંગે ધ્યાન દોર્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપની હારમાળા શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે શુક્રવારે બપોરે પત્રકાર પરિષદનું સોબંધન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે રાજ્યમાં પોલિયો વેક્સિનેશનમાં થતા ગોટાળા અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પોલિયો એક એવી બીમારી છે, જેની કોઇ દવા નથી. ગુજરાત પોલિયોમુક્ત થાય એ માટે કોંગ્રેસ દ્વારા મહેનતથી અભિયાન ચલવાવમાં આવ્યું હતું અને આજે એ દિશામાં આપણે આગળ વધ્યા છીએ. પોલિયો ન થાય એ માટેની રસી કે વેક્સિન ઇનજેક્ટેબલ હોય છે. તેને રાખવા માટે તાપમાન જાળવી રાખવાની જરૂર પડે છે. જો તાપમાન ન જળવાય તો ધીરે-ધીરે તે અનયૂઝેબલ થઇ જાય છે, જે તમે શીશી પરની નિશાનથી જાણી શકો છો.
તેમણે આગળ કહ્યું કે, મોરબીના જિલ્લા આરોગ્ય અધિકારીએ ગાંધીનગરના મુખ્ય આરોગ્ય અધિકારીને પત્ર લખ્યો હતો, 6-10-2017ના રોજ લખાયેલ આ પત્ર મુજબ પોલિયો વેક્સિનનું વીવીએમ સ્ટેટસ દર્શાવે છે કે, વેકિસન લાભાર્થી સુધી પહોંચે એ પહેલાં એક્સપાયર થવાની સંભાવના છે. આવો જ એક પત્ર કચ્છના જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પણ લખવામાં આવ્યો છે. જો વીવીએમ સ્ટેટસ એક્સપાયર થાય તો વેક્સિનનો નાશ કરવો પડે અને તેના બગાડનું પ્રમાણ વધે. મુખ્યમંત્રી જ્યાંથી પ્રતિનિધિત્વ કરે છે, ત્યાં મુખ્ય કાર્યાલય આવેલું છે, જે હેઠળ અનેક જિલ્લા અને ગામડાઓ આવેલા છે. તેના અધિકારી દ્વારા પણ બે મહિનાની અંદર બે પત્ર લખવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, પોલિયો વેક્સિન જિલ્લા સ્તરે લાભાર્થીને પહોંચે એ પહેલા એક્સપાયર થવાની શક્યતા છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં સરકાર આ જથ્થાનો નાશ કરાવી નવા વેક્સિન ખરીદવાનું સૂચન આપે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ જ જથ્થાનો ઉપયોગ કરવાની ટેલિફોનિક સૂચના આપવામાં આવી. સરકાર જવાબ આપે કે તેમણે આવું શા માટે કર્યું? આ નાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું ગુનાહિત કૃત્ય શા માટે કરવામાં આવ્યું?