Gujarat election: બાટલા હાઉસનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીને આલોક શર્માએ આપ્યો જવાબ
આલોક શર્માએ ઉરી, પુલવામા અને પઠાણકોટ હુમલાને યાદ અપાવતા કહ્યું કે તમે આતંકવાદની વાત કરો છો તો આ હુમલા કોની સરકારમાં થયા હતા?
Gujarat election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી છે. 1લી ડિસેમ્બરે પહેલા અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કા માટે મતદાન થનાર છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પોતાના અંતિમ પડાવ પર છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં તાબડતોડ જનસભાઓ યોજી રહ્યા છે અને કોંગ્રેસ પર સતત વાક્ પ્રહાર કરી રહ્યા છે. આવું જ આજે ખેડાની જનસભામાં પણ જોવા મળ્યું હતું.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યો હતો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડામાં આજે જનસભા સંબોધિ હતી જેમાં તેમણે કોંગ્રેસ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું, "અમે આતંકવાદને ટાર્ગેટ બનાવવાનું કહ્યું તો કોંગ્રેસે મને ટાર્ગેટ બનાવ્યો. બાટલાહાઉસ એન્કાઉન્ટર પર કોંગ્રેસના નેતા રડ્યા હતા. આતંકવાદ ફેલાવનારાઓ માટે તેમણે અશ્રુ વહાવ્યાં હતાં. આતંકવાદીઓને છોડવા માટે કોંગ્રેસ પોતાની તમામ તાકાત લગાવી દેતી હતી. કોંગ્રેસના રાજમાં આતંકવાદીઓ નિડર થઈ ગયા હતા અને મોટા શહેરોમાં આતંકવાદે માથું ઉંચક્યું હતું."
આલોક શર્માની પ્રતિક્રિયા
પીએમ મોદીના આ આરોપો પર આલોક શર્માએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આજે ખેડાની જનસભામાં મોદી સાહેબે આપેલું ભાષણ સાંભળ્યું. ભાજપે પોતાની હાર પહેલેથી જ માની લીધી છે. બાટલાહાઉસ એન્કાઉન્ટર પર પીએમ મોદીએ વાત કરી હતી જેના જવાબમાં આલોક શર્માએ કહ્યું કે, બાટલાહાઉસ એન્કાઉન્ટર કોંગ્રેસ સરકારના સમયગાળામાં થયું હતું. આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવાની વાત હોય કે અફઝલ ગુરુને ફાંસી આપવાની વાત હોય કોંગ્રેસે તેમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં નાખી ફાંસીને માચડે ચડાવ્યા હતા.
આ ઉપરાંત આલોક શર્માએ ઉરી, પુલવામા અને પઠાણકોટ હુમલાને યાદ અપાવતા કહ્યું કે તમે આતંકવાદની વાત કરો છો તો આ હુમલા કોની સરકારમાં થયા હતા? આજે તમે 26/11 પર રાજનીતિ કરી રહ્યા છો, આજે જેવી રીતે અમદાવાદ અને સુરતનું નામ લઈ તમે ગુજરાતની જનતાને ડરાવી રહ્યા છો તે દુર્ભાગ્યની વાત છે. વધુમાં આલોક શર્માએ કહ્યું કે, "મોદી સાહેબ અમે તો આતંકવાદનો ખાતમો કરવા માટે બબ્બે પ્રધાનમંત્રી ગુમાવ્યા, અમારા વડાપ્રધાનના શરીરના ચીથડાં ઉડી ગયાં હતાં, ભાજપના શાસનમાં એક ચકલીએ નથી મરી. કંધાર કોના સમયમાં થયું હતું, કોના સમયમાં અક્ષરધામ પર હુમલો થયો હતો, કોના સમયમાં સંસદ ભવન પર હુમલો થયો હતો? મોદી સાહેબ બાટલાહાઉસ પર નહીં બાટલાની જે કિંમત આસમાને પહોંચી છે તેના પર વાત કરો."
આલોક શર્માની પ્રતિક્રિયાનો વીડિયો