ચૂંટણી આચારસંહિતાને કારણે મહેસૂલી તલાટીના 7.5 લાખ ઉમેદવારોનું ભાવિ અધ્ધરતાલ
ગાંધીનગર, 21 ઓગસ્ટ : ગુજરાત સરકારના મહેસુલ વિભાગે લોકસભાની ચૂંટણી પહેલા વર્ગ 3ની તલાટી કક્ષાની ભરતી માટે અરજી મંગાવી પરીક્ષા લીધી હતી. પરીક્ષાનું પરિણામ લોકસભા ચૂંટણીને કારણે અને ત્યાર બાદ અન્ય કારણોથી હજી સુધી જાહેર થયુ નથી. વિવાદને કારણે અટકી પડેલુ પરિણામ જાહેર કરવા પોલીસ તપાસ બાદ માર્ગ મોકળો થયો છે પરંતુ હવે ફરીથી વિધાનસભાની નવ લોકસભાની એક બેઠકની પેટાચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાથી ફરી પરિણામની જાહેરાત લટકી પડી છે.
આ અંગે મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પરિણામ તૈયાર થઈ ગયુ છે. 19 સપ્ટેમ્બર સુધી આચારસંહિતા અમલમાં હોવાથી ઉમેદવારોએ પરિણામ જાણવા માટે હજુ ઓછામાં ઓછા એક મહિનાની રાહ જોવી પડશે. પૈસા લઈને પરીક્ષામાં પાસ કરાવી દેવાના બહુચર્ચિત કૌભાંડ અંગે ફોરેન્સીક લેબોરેટરીનો અહેવાલ આવી ગયો છે. જેમાં કેટલાક ચોંકાવનારા નિર્દેશો હોવાથી પોલીસ તપાસ આગળ ધપે અને નવા ધડાકા થાય તેવી સંભાવના છે. પોલીસે સૂચવ્યા મુજબના 40 જેટલા ઉમેદવારોનું પરિણામ અટકાવી બાકીના ઉમેદવારોનું પરિણામ સપ્ટેમ્બર ઉતરાર્ધમાં જાહેર કરી શકાય એમ છે.

નોંધનીય છે કે મહેસુલ વિભાગે 1500 તલાટીઓની ભરતી માટે લોકસભાની ચૂંટણી પહેલા અરજીઓ મંગાવી હતી. જેમાં કુલ 8.5 લાખ જેટલા યુવક-યુવતીઓએ અરજી કરી હતી. જે પૈકી 7.5 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાના દિવસે જ પાસ કરાવી દેવાના નામે કેટલાક શખ્સોએ ગોઠવણ કર્યાની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત ઉત્તરવહીઓમાં ચોક્કસ પ્રકારની નિશાની અંગે ફોરેન્સીક લેબોરેટરીની મદદ માંગવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
