જે દીકરા પર દાગ નથી તેને ગુજરાતની ધરતી પર આવીને ભાંડવા માંડો છો? : PM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભુજથી જનસંબોધન કર્યું હતું. કચ્છી ભાષામાં વડાપ્રધાન તેમના ભાષણની શરૂઆત કરી હતી. જાણો વધુ અહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભુજ પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકોએ તેમને આવકાર્યા હતા. ત્યારે ભુજ ખાાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં તેમનું જનસંબોધન શરૂ કરી લોકોને ખુશ કરી દીધા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આ ભાષણમાં કચ્છના વિકાસથી લઇને નોટબંધી, જીએસટી અને કોંગ્રેસના સવાલો પર સામે સવાલો કરી, કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે પણ ગુજરાતમાં વિકાસનો વિજય ધ્વજ ભાજપ સ્વરૂપે આગળ વધશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના અંશો વિગતવાર જાણો અહીં.
કોંગ્રેસને ગુજરાત માફી નહીં કરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆતમાં કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. કારમ કે કોંગ્રેસે હંમેશા સરદાર પટેલને દાઢમાં રાખીને ગુજરાતનો વિકાસ રોક્યો છે. ગુજરાત જ્યારે અલગ થવા ઇચ્છતું હતું ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાંથી ગુજરાતના યુવાનો પર ગોળીઓ છોડવામાં આવી હતી. ગુજરાતનું વેર વાળવામાં કોંગ્રેસે કદી કોઇ કચાશ નથી છોડી.
કચ્છીઓ વિષે કહ્યું આ
પીએમ મોદીએ કહ્યું કે આજે તમે જ્યાં જશો ત્યાં તમને ગુજરાતી કચ્છી મળશે. કેમ કે 30 વર્ષ પહેલા નર્મદાના પાણી કચ્છ નહતા આવ્યા. જો તે આવ્યા હોત તો કચ્છીઓને આ હિજરત ના કરવી પડી હોત. પાણી માટે કરીને લોકોને કચ્છ છોડી બહાર જવું પડ્યું હતું. સંતાનો ભણવા ના મળતું, મારા કચ્છના માલધારીઓને રઝળતી જિંદગી વેઠી છે.
કાળા પાણીની સજા
તેમણે કહ્યું કે જો કોઇ સરકારી બાબુને, જેને કચ્છમાં નોકરી મળે તો તેને કાળા પાણીની સજા મળી છે તેમ કહેવામાં આવતું. કચ્છમાં એક સમય હતો જ્યારે દાણચોરીની ચર્ચા થતી હતી. કોંગ્રેસે હંમેશા ગુજરાતની સાથે ઓરમાયું વર્તન રાખ્યું છે.
ભૂકંપ
મોદીએ કહ્યું કે જૂની પેઢીના લોકો યાદ કરે 60 વર્ષ પહેલા આ કચ્છની ધરતી પર એક ભૂકંપ આવ્યો હતો. અંજારના ભૂકંપ વખતે પંડિત જવાહરલાલ નેહુરુને અહીં આવું પડ્યું હતું. અંજારના ભૂકંપને 60 વર્ષ વીતી ગયા કોઇ કચ્છી માણસ અંજારના ભૂકંપ બાદ કોઇ સારું કામ કોંગ્રેસે કર્યું હોય તેવું યાદ આવે છે કે દેખાય છે? 2001ના ભૂકંપે મને નવી જિંદગી જીવવા માટે મજબૂર કર્યો છે. 2001નું કામ તે લોકો જોઇ લે જે અમારા વિકાસ પર સવાલો કરે છે.
ભારત મારો પરમાત્મા
પીએમ મોદીએ કહ્યુ કે 2001માં ભૂકંપ પછી મેં મુખ્યમંત્રી તરીકે વહીવટનો પહેલા "ક" અહીંથી શીખ્યો છું. મુસીબતો શું કહેવાય, મારી ટ્રેનિંગ કચ્છના લોકોએ કચ્છના ભૂકંપ વખતે કરી હતી. તેમણે કહ્યું કે વર્ષો પહેલા મેં એક કવિતા લખી હતી. ગુજરાત મારો આત્મા, ભારત મારો પરમાત્મા, હું એક દીકરા તરીકે તમારી સાથે છું. મારા ગુણદોષને તમે બરાબર પારખ્યા છે. મારામાં જે સારું હતું તેને શક્તિ આપવાનું કામ ગુજરાતની માટી, મારી માંએ કર્યું છે.
ગુજરાત દીકરા પર સવાલ
તેમણે કહ્યું કે કોંગ્રેસની આ હિંમત કે જે દીકરા પર દાગ નથી તેને ગુજરાતની ધરતી પર આવીને ભાંડવા માંડો છો? અનાપ શનાપ બોલવા લાગો છો? કોઇ ગુજરાતી આ અપમાન હવે સહન નથી કરવાનું તે કોંગ્રેસે સમજી લેવું જોઇએ. ભારતના 35 ટકા જેટલું કામ થાય છે મુદ્રામાં થાય છે. 20મી સદીમાં કચ્છમાં વસ્તી ઓછી થતી હતી. 21મી સદીમાં કચ્છમાં લોકો પાછા આવવા લાગ્યા અને વસ્તી ગણતરી વધી છે. આટલો કચ્છનો વિકાસ થયો છે. અને હજી પણ આપણે અટકવા નથી માંગતા.
રણોત્સવ
તેમણે કહ્યું કે રાજસ્થાન તમે એક સપ્તાહમાં જોઇ શકો છો. પણ કચ્છ માટે એક સપ્તાહ ઓછું પડે. અહીંની હસ્તકળા અને અહીંના પર્યટને ભારતમાં ચાર ચાંદ લગાવી દીધા છે. માટે જ લોકો કહે છે કચ્છ નથી દેખા તો કુછ નહીં દેખા. જે લોકો દેશમાં નિરાશા ફેલાવાનું કામ કરે છે. મહેરબાની કરીને તમારી વિકનેસને દેશ પર ના થોપો. તેમની પાસે ના કોઇ નીતી છે ના કોઇ નિયત છે ના ધરતી સાથે કોઇ નાતો છે.
નહેરુંને કર્યા યાદ
પીએમએ કહ્યું કે મારી પર એક વાર આરોપ થયો કે તમે લાલ કિલ્લા પર નહેરુનું નામ કેમ ના લીધું. મેં એક કોંગ્રેસના નેતા પુછી લીધું કે કોંગ્રેસ પાર્ટીના અખિલ ભારતીયના નેતાઓના ક્રમવાર નામ લખી આપો. જે લોકોને તેમના પોતાના નેતાનું નામ નથી ખબર, જે લોકોને પરિવારથી આગળ જોવું નથી તે દેશનું કદી ભલુ નહીં કરે. તે માટે તો સવાસો કરોડ લોકો સાથે જોડાવું પડે તો જ દેશ માટે કામ થઇ શકે.
હાફિઝ સઇદ
પાકિસ્તાનની કોર્ટે એક આતંકીને છોડ્યો તેમાં કોંગ્રેસ તાળીઓ પાડો છો. પણ જ્યારે ડોકલામ વિવાદ થયો ત્યારે તમે ચીનના રાજદૂત જોડે ગળે કેમ લાગતા હતા? હું આ સવાલ કોંગ્રેસનું પુછું છું. જ્યારે દેશના જવાનોએ સર્જીકલ સ્ટ્રાઇક કરી. હુમલો તો મુંબઇ પણ થયો હતો અને પુરીમાં પણ. પણ સરકાર સરકારમાં ફરક શું હોય છે નેતા નેતામાં ફરક શું હોય છે પુરીમાં જવાનોને માર્યા ત્યારે મારા દેશના જવાનોએ તેમના ઘરમાં ધૂસીને માર્યા હતા. અને ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું હતું કે ટ્રકો ભરીને લાશો લઇ ગયા હતા. ત્યારે પાકિસ્તાનનો એક આતંકી બહાર આવે છે ત્યારે તાળીઓ પાડવાના બદલે ચૂપ તો મરવું તું! અને પાછા પ્રશ્નો પૂછી કે એક પણ આપણો જવાન સર્જીકલ સ્ટ્રાઇક વખતે મર્યો કે નહીં? તમારી પાસે સર્જીકલ સ્ટ્રાઇકનો કોઇ ફોટા કે વીડિયો છે? ભાઇ ત્યાં કંઇ ફિલ્મ ઉતારવા ગયા હતા. ગરીબના ઘરમાં જઇને તમે જે ફિલ્મ ઉતારવાના નાટક કરો છો, તો ત્યાં તેવી કોઇ ફિલ્મ ઉતરતી હતી?
નોટબંધી
નોટબંધીના એક વર્ષ પછી કોંગ્રેસ તે રીતે રડે છે જાણે કે મોદીએ તેમનું બધુ જ લઇ લીધું હોય. કોંગ્રેસને જેટલું રડવું હોય તેટલું રડી લો મોદી છે ને! જેણે દેશને લૂટ્યો છે તેણે દેશને પાછું આપવું જ પડશે તે તમે લખી રાખો. અમે આ ખુરશી માટે નથી કરતા અમે આ દેશ માટે કરીએ છીએ. જીએસટી વખતે કોંગ્રેસનો સહકાર હતો પણ બહાર આવીને તે બીજું બોલ્યા. વેપારીઓને મેં પહેલા દિવસથી કહ્યું છે કે આ નવો નિયમ છે. અમે સતત નમ્રતા સાથે જીએસટીમાં ફેરફાર કરતા રહીએ છીએ. કચ્છમાં પણ જલ્દી જ રો રો ફેરી ચાલશે. તે દિવસ દૂર નહીં હોય કે જ્યારે તમે જલ્દી સુરત પહોંચી અને ત્યાંથી મુંબઇ જઇ શકશો. કચ્છ ગતિવિધિના કેન્દ્રમાં આવી જશે, કારણ કે વિકાસ જ અમારો મંત્ર છે.
ચૂંટણીની હવા
મોદીએ કહ્યું કે આ વિરાટ જનસભા બતાવે છે કે ચૂંટણીની હવા કંઇ તરફ છે. મને ખાતરી છે કે ગુજરાતની જનતા ભાજપનો 151નો સંકલ્પ પૂરો કરશે. 9મી તારીખે અભૂતપૂર્વ મતદાન કરજો. અને ફરી એક વાર વિકાસના ધ્વજને આગળ વધારજો. અને તેનો વિનાશ કરનારને પ્રવેશવા નહીં દેતા. આમ કહીને પીએમ મોદીએ તેમના ભાષણને પુરું કર્યું હતું.