Exclusive : કોના કૉફિનમાં ઠોકાશે છેલ્લો ખીલો ?
અમદાવાદ, 14 ડિસેમ્બર : બસ હવે અડતાલીસ કલાક જેટલો જ સમય બાકી છે. ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં બીજા તબક્કાના મતદાન આડે માત્ર શનિવાર અને રવિવારના બે દિવસો બાકી છે. અડધું-અડધ ગુજરાત પોતાનો જનાદેશ આપી ચુક્યો છે. પહેલા તબક્કામાં 70 ટકાથી વધુ ભારે મતદાન કરી મતદારોએ એક વાત તો જણાવી જ દીધી છે કે તેમનો ઝોક કોઈ એક પક્ષે છે અને બીજા પક્ષનું ધનોત-પનોત થવાનું છે. એટલે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના મતદારોએ કોઈ એક પક્ષનો કૉફિન લગભગ તૈયાર કરી નાંખ્યું છે અને બીજા તબક્કામાં એટલે કે 17મી ડિસેમ્બરના રોજ ઉત્તર-મધ્ય ગુજરાતના મતદારોએ હવે માત્ર આ કૉફિનમાં છેલ્લો ખીલો ઠોકવાનો બાકી છે.
ગુજરાતમાં સામાન્ય રીતે વિધાનસભા ચુંટણીઓમાં 55થી 60 ટકાની આસપાસ મતદાન થાય છે, પરંતુ આ વખતની ચુંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવી તમામ રેકૉર્ડ તોડી નાંખ્યા અને 70 ટકાથી વધુ મતદાન કરી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મતદારોએ આ તો માત્ર ટ્રેલર બતાવ્યું છે. હજુ ઉત્તર-મધ્ય ગુજરાત પોતાનો પરચો દેખાવવા આતુર છે.
લોકજુવાળ મોદી વિરુદ્ધ કઈ રીતે?
પ્રથમ તબક્કામાં જ આટલું ભારે મતદાન થતાં એક વાત તો નક્કી થઈ ગઈ છે કે મતદારોએ કોઈ એક પક્ષમાં ભારે જુવાળ દર્શાવ્યું છે. રાજકીય પંડિતો જુદાં-જુદાં તારણો કાઢી રહ્યાં છે, પરંતુ જો ઉંડાણપૂર્વક વિચારવામાં આવે, તો ભારે મતદાનનો ફાયદો લેવાના સૌપ્રથમ હકદાર કોઈ હોય, તો તે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. તેમની સાથે સૌથી મોટી હકારાત્મક બાબત એ છે કે તેઓ સતત 11 વરસથી શાસન કરી રહ્યાં છે અને આ દરમિયાન તેમની વિરુદ્ધ ક્યાંય કોઈ સામૂહિક વિરોધનો જુવાળ ઊભો થતો દેખાયો નથી. એવી પરિસ્થિતિમાં એમ માની લેવું આશ્ચર્યજનક કહેવાશે કે ભારે મતદાન સત્તા વિરોધી લહેર એટલે કે એંટી ઇન્કમ્બેંસી છે. એવું નથી કે મોદી વિરુદ્ધ ગુજરાતમાં અવાજો નથી ઉઠતા, પરંતુ મોટાભાગે આ અવાજો વ્યક્તિગત લડાઈ સુધી સીમિત રહી જાય છે. તે પછી શ્વેતા ભટ્ટ હોય, જાગૃતિ પંડ્યા હોય કે પછી કનુ કલસરિયા હોય. કોંગ્રેસ પણ એ જ શ્રેણીમાં આવી જાય છે, કારણ કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોઈ પણ નિવેદનની શરુઆત જ મોદીના નામ સાથે કરે છે. એનો મતલબ સંદેશ એ જાય છે કે કોંગ્રેસનો વિરોધ ભાજપ સામે ઓછો, પણ મોદી સામે વધુ છે. આમ મોદી વિરુદ્ધ ગુજરાતમાં સામાન્ય પ્રજામાંથી ઊભો થાય એવો કોઈ સામૂહિક અવાજ નથી. જેથી એમ માનવાને કોઈ કારણ નથી કે વધુ મતદાન એન્ટી ઇન્કમ્બેંસી જ હોય.
કોંગ્રેસ પ્રત્યે આમ પ્રેમ ઉભરાઈ શકે?
બીજો મહત્વનો મુદ્દો એ છે કે જો ભારે મતદાન કોંગ્રેસના પક્ષે થયું હોવાનું માનીએ, તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે કોંગ્રેસે છેલ્લા અગિયાર વરસમાં એવાં તો કયા પ્રજાલક્ષી કાર્યો કરી નાંખ્યા કે કોંગ્રેસ પ્રત્યે લોકોનો આમ પ્રેમ ઊભરાઈ આવે? ચાલો માની લઇએ કે ગુજરાતમાં તેઓ સત્તાની બહાર છે, પરંતુ સત્તાની બહાર રહીને પણ કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ કોઈ મોટા આંદોલનો કે જનસમર્થન ઊભો કર્યો નથી. હા, કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર છે, પરંતુ તેના પણ જે ગોટાળાઓ સામે આવ્યાં છે, તે જોઈ પ્રજા તેની તરફ આકર્ષાય, એવું કોઈ કારણ દેખાતું નથી.
કેશુભાઈ વ્હાલા થઈ શકે?
ત્રીજા પરિબળ તરીકે કેશુભાઈ પટેલ અને તેમની જીપીપી મેદાને દેખાય છે, પરંતુ અહીં પણ એ જ પ્રશ્ન ઊભો થાય છે કે પ્રજા કેશુભાઈ કે જીપીપી પક્ષે આટલું ભારે મતદાન કેમ કરે? કેશુભાઈ સતત ભાજપમાં રહ્યાં છે અને ચુંટણીની જાહેરાત અગાઉ સુધી તેઓ ભાજપમાં જ હતાં. એક વ્યક્તિ છેલ્લા 11 વર્ષોથી શાસન કરતી હોય અને કેશુભાઈ માત્ર 111 દિવસમાં એવું તો શું કરી શકે કે આખુંને આખું પટેલ સમાજ અને બાકીના તમામ વર્ગના લોકો પણ તેમના પક્ષે આટલું બધું મતદાન કરી નાંખે.
કૉફિન તૈયાર છે
હવે વાત કરીએ 17મી ડિસેમ્બરના મતદાનની. સોમવાર બીજા તબક્કા માટે મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં ભારે મતદાન કરી લોકોએ કોઈ એક પક્ષમાં પોતાનો ઝોક તો જણાવી જ દીધો છે અને બીજા પક્ષ માટે કૉફિન તૈયાર કરી નાંખ્યું છે. 13મી ડિસેમ્બરે જે રીતે ભારે મતદાન થયું છે, તેની અસર ચોક્કસ રીતે બીજા તબક્કા ઉપર પણ પડશે અને લોકો મોટી સંખ્યામાં મતદાન કરવાં નીકળે તો નવાઈ નહીં. એટલે પહેલા તબક્કામાં જે કૉફિન તૈયાર થયું છે, તેની ઉપર છેલ્લો ખીલો બીજા તબક્કામાં ઠોકાવો નક્કી જ છે.