ગુજરાત ચૂંટણી 2017:જ્યારે BJPના CM ઉમેદવાર અંગે કરાયો પ્રશ્ન
ગુજરાત ચૂંટણી 2017 પહેલાં ભૂપેન્દ્ર યાદવે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું.
સોમવારે પત્રકાર પરિષદમાં ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે કોંગ્રેસને પ્રશ્ન કર્યો હતો કે, કોંગ્રેસનો મુખ્યમંત્રીપદનો ચહેરો કોણ તે જાહેર કરે. શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે આંતરીક ગજગ્રાહ હોવા તરફ ઈશારો કરી ક્યાંકને ક્યાંક યાદવે ચિનગારીને આગનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, પત્રકારો દ્વારા ભાજપના મુખ્યમંત્રીપદનો ચહેરો કોણ રહેશે તે અંગે પુછાતા તેમણે ઘણો જ ડીપ્લોમેટીક જવાબ આપ્યો.
વિજય રૂપાણી અને નિતીન પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી લડાશે તેમ જણાવી ભુપેન્દ્ર યાદવે ભાજપમાં આંતરિક વિખવાદ ના થાય તેનું ધ્યાન રાખ્યું, પરંતુ મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ નહોતું જણાવ્યું. સાથે સાથે આખી ટીમ યથાવત્ રહેવાનો નિર્દેશ કરતા ભુપેન્દ્ર યાદવે મંત્રીઓનો ઉત્સાહ ટકાવી રાખવાનો પણ પ્રયત્ન કર્યો. એક રીતે તમામ મંત્રીઓની ટિકીટ રીપીટ કરવા તરફ તેમણે નિર્દેશ કર્યો હતો. યથાવત રાખવામાં આવનારી ટીમમાંથી કોણ મુખ્યમંત્રી બનશે એ સવાલ હજુ ઊભો જ છે.