કોંગ્રેસમાંથી વિજય કેલ્લાનું રાજીનામું, 17મીએ BJPમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, આરોપ-પ્રત્યારોપ અને પક્ષપલટાની ઘટનાઓની હારમાળા શરૂ થઇ ગઇ છે. પક્ષપલટો કરનાર નેતાઓની યાદીમાં કોંગ્રેસ નેતા વિજય કેલ્લાનું નામ ઉમેરાયું છે. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, આરોપ-પ્રત્યારોપ અને પક્ષપલટાની ઘટનાઓની હારમાળા શરૂ થઇ ગઇ છે. પક્ષપલટો કરનાર નેતાઓની યાદીમાં કોંગ્રેસ નેતા વિજય કેલ્લાનું નામ ઉમેરાયું છે. વિજય કેલ્લાએ બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, વિકાસ અંગે આગંળી ચીંધવાથી શું કોંગ્રેસ સજીવન થઇ જશે? માધવસિંહની ખામ થિયરીથી કોંગ્રેસને નુકસાન થયું હતું. આ જ થિયરી ભરતસિંહે નવા સ્વરૂપે લાગુ કરી છે. કોંગ્રેસ હવે સંપૂર્ણ રીતે જર્જરિત થઇ ગઇ છે. તેમણે કોંગ્રસે પક્ષ પર આવા અનેક પ્રહારો કર્યા હતા. વિજય કેલ્લાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પત્ર લખી રાજીનામાની જાહેરાત કરી હતી.
વિજય કેલ્લા કોંગ્રેસ રીલિફ કમિટિના પ્રેસિડન્ટ હતા, તેમની સાથે જ કોંગ્રેસ જનરલ સેક્રેટરી અભય રાજપૂતે પણ રાજીનામું આપી દીધું છે. વિજય કેલ્લાએ ભરતસિંહ સોલંકીને જે પત્ર લખ્યો છે, તેમાં તેમણે કોંગ્રેસના નેતાઓ પર કેટલાક આરોપ મુક્યા છે અને સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે ભરતસિંહ સોલંકીની કામગીરી અંગે સવાલો કર્યા છે અને એમ પણ કહ્યું છે કે, પીએમ મોદીએ દેશની પ્રગતિ અને વિકાસની દિશા બદલી છે. વિજય કેલ્લા મણિનગરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ 17 નવેમ્બરના રોજ અધિકૃત રીતે અમિત શાહની હાજરીમાં કેસરિયો ધારણ કરશે, એમ કહેવાઇ રહ્યું છે.