ગુજરાત સરકારે ખાતરની ફરિયાદો માટે હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ શરૂ કર્યા
ગુજરાતમાં ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર સક્રિય બની છે. કૃષિ નિયામકની કચેરી દ્વારા ખાતર સંબંધિત ફરિયાદો અને વિતરણની માહિતી માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
ખેડૂતો તેમની ખાતર સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે રાજ્યકક્ષાના હેલ્પલાઇન નંબર 079-23256080 પર સંપર્ક કરી શકે છે. આ હેલ્પલાઇન સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ ઉપરાંત, જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતો ખાતરની ઉપલબ્ધતા અને વિતરણ અંગે માહિતી મેળવી શકશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતર વિતરણ અંગે વાત કરતા જણાવ્યું કે, સારા વરસાદને કારણે આ વર્ષે ખરીફ પાકોનું 61% વાવેતર સમયસર પૂરું થયું છે.
તેમણે ઉમેર્યું કે, સરકાર સપ્લાય પ્લાન મુજબ જિલ્લાઓ અને તાલુકાઓમાં ખાતરનો પૂરતો જથ્થો મોકલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે, જેથી ક્યાંય ખાતરનો સંગ્રહ, કાળાબજાર કે વધુ ભાવે વેચાણ ન થાય. આ હેતુ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે.
કૃષિ મંત્રીએ ખેડૂતોને અપીલ કરી કે તેઓ જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદે અને તેનો સંગ્રહ ન કરે. કૃષિ વિભાગના અધિકારીઓએ કેટલીક મહત્વની સલાહ પણ આપી છે. જેમ કે મગફળી જેવા પાકો માટે યુરિયાનો ઉપયોગ ટાળવો. ડાંગરના પાક માટે નાઇટ્રોજન ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
આ પહેલથી ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા અંગેની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ મળશે અને તેઓ સમયસર પોતાના પાક માટે જરૂરી ખાતર મેળવી શકશે.












Click it and Unblock the Notifications
