ગુજરાત ગૌરવ મહાસંમેલન કેમ જરૂરી છે ભાજપ માટે?
ભાજપની ગૌરવ યાત્રાને ગુજરાતમાં જોઇએ તેટલી સફળતા નથી મળી. આ બાદ ભાટ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાની સૌથી વધુ જરૂર છે. જાણો કેમ?
રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ પહેલા ભાજપ દ્વારા ગૌરવ યાત્રા નીકાળવામાં આવી હતી. 15 દિવસ સુધી ચાલેલી આ યાત્રામાં વિધાનસભાની 149 બેઠકોને આવરી લેવામાં આવી હતી. વધુમાં આ ગૌરવ યાત્રા અંતર્ગત સ્મૃતિ ઇરાની જેવા કેન્દ્રીય મંત્રીથી લઇને સીએમ યોગી આદિત્યનાથ જેવા ભાજપના અનેક મોટા ચહેરાઓએ હાજરી આપી હતી. ગૌરવ યાત્રાનો મૂળ હેતુ રાજ્ય સરકારની નીતિઓનો પ્રચાર પ્રચાર હતો. પણ હકીકત એ પણ છે કે આ ગૌરવ યાત્રા દરમિયાન એક જનસભાઓ અનેક વાર ખૂબ જ પાંખી પ્રેક્ષકોની હાજરી જોવા મળી હતી. વળી મંગરોળની જેમ જ અનેક જગ્યાએ ગૌરવ યાત્રા દરમિયાન ભાજપી કાર્યકર્તા સાથે મારપીટ પણ કરી અને યાત્રા વખતે ભાજપના નેતાઓ પર ટામેટાં અને બટેકા પણ ફેંકવામાં આવ્યા. આ તમામ વાતોથી ભાજપના કાર્યકર્તાઓમાં જોઇએ તેવો ઉત્સાહ જોવા નથી મળી રહ્યો.
ત્યારે આજે ભાટ ગામે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્ને કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓનો ઉત્સાહ વધારશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 7 લાખથી વધુ લોકો હાજરી આપશે. આ માટે ભાટ ગામ ખાતે 5 લાખ સ્કેવર મીટરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાઇફાઇ સજ્જ સભા સ્થળ, બાઇક રેલી, પેજ પ્રમુખો માટે રોડ મેપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં પેજ પ્રમુખો, કાર્યકરો અને આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી ચૂંટણીલક્ષી કેટલીક મોટી જાહેરાતો કરશે અને સાથે જ કાર્યકર્તાઓનો ચૂંટણીલક્ષી સલાહ આપી તેમનો ઉત્સાહ વધારશે.