ગુજરાત સરકાર પશુધનની પાણીની જરૂરિયાત માટે 345 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરશે
ગાંધીનગર, 8 જુલાઇ : ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના આગેવાનીમાં સરકારે માત્ર માનવધનના કલ્યાણ નહીં પરંતુ પશુધનના કલ્યાણને માટે પણ વિચારવાનું અને પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ માટે આનંદીબહેન પટેલે આંશિક રીતે દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લા માટેની રૂપિયા 345 કરોડની લખપત-અબડાસા વોટર સપ્લાય રિમોડલિંગ સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ યોજના પ્રારંભમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકાશે. તેની સફળતાને આધારે અન્ય વિસ્તારોમાં અમલીકરણનો નિર્ણય લેવાશે.
આ યોજના માટે કચ્છ જિલ્લાને પસંદ કરવામાં આવ્યો છે તેનું કારણ જણાવતા આનંદીબેન પટેલે જણાવ્યું કે કચ્છના લોકો અને પશુઓને ધ્યાનમાં રાખીને આ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યના સીમાડે આવેલા આ બંન્ને તાલુકાઓમાં પશુઓનું પ્રમાણ ત્યાંની માનવવસ્તીની સરખામણીએ ત્રણગણું છે. આ પ્રોજેક્ટ આવતા કચ્છમાં પાણીની તંગી ધરાવતા 274 ગામડાંઓને સૌપ્રથમ રાહત મળશે.
આ પ્રોજેક્ટ હેઠળ 1100 કિલોમીટર લાંબી પાઇપલાઇન, ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, 180 અન્ડરગ્રાઉન્ડ સમ્પ્સ અને 29 ઓવરહેડ ટેન્ક્સનું નિર્માણ કરવામાં આવશે. આ યોજનાનો હેતુ અહીં દૂધનું ઉત્પાદન વધારવાનો પણ છે.
આ ઉપરાંત 3559 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવનારા 357 કિલોમીટર લાંબા કચ્છ બ્રાન્ચ કેનાલ પ્રોજેક્ટની વિગત આપતાં આનંદીબહેને એક સમારંભમાં જણાવ્યું હતું કે 'નર્મદા મેઇન કનૅલમાંથી પાણી 55.3 મીટર ઊંચે સુધી લિફ્ટ કરીને રાપર તથા ભચાઉ સુધી પહોંચાડવા માટે 515 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ પમ્પિંગ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. કેનાલના બાંધકામમાં 1427 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બીજાં 1422 કરોડ રૂપિયાનાં કામો પૂરાં થવામાં છે.'
કચ્છ બ્રાન્ચ કેનાલ પ્રોજેક્ટ પૂરો થશે એટલે આઠ નગરો અને 886 ગામડાંઓને પીવાનું તથા જિલ્લાના સાત તાલુકાઓમાંનાં 128 ગામડાંઓની 1,12,778 હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી મળશે. આ ઉપરાંત આનંદીબેન પટેલે એમ પણ જણાવ્યું કે કચ્છમાં આવેલા નારાયણ સરોવરને ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ વિકસાવાશે.