ગુજરાતની શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની ભરતી કરી રદ, વિવાદ બાદ સરકારનો નિર્ણય
Gujarat Teachers Recruitment: ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની ફરજ પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ નિર્ણયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ધોરણ-1થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે 62 વર્ષથી વધુ ઉંમરના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયનો વિરોધ થતાં સરકારે હવે યુ ટર્ન લીધો છે. વિવાદ વધતાં જ સરકારે શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કર્યો છે.

ગુજરાત સરકારના આ નિર્ણય બાદ વિવાદ વકર્યો હતો. શાળા સંચાલક મંડળે આ નિર્ણય બાદ નારાજગી દર્શાવી હતી અને સરકારને પત્ર લખીને નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી. નિવૃત્ત શિક્ષક આવે તે આનંદની વાત છે પણ બેરોજગાર શિક્ષકોની ભરતી થવી જોઈએ. ગુજરાતમાં જેટલી ઘટ છે તેટલા શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે.
આ ઉપરાંત ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પર સરકાર સામે રોષે ભરાયા હતાં. હાલમાં શિક્ષક ભરતીને લઈને કચ્છ સહિતના જિલ્લાઓમાં શિક્ષકોની ઘટને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ પણ શિક્ષકોની ભરતી કરવા માટે હાથમાં બેનર લઈને વિરોધ કરતા હોવાનું સામે આવ્યું હતું. સરકારના આ નિર્ણયથી ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. આ વિરોધ અને ટીકાઓના વંટોળના કારણે સરકાર ભોંઠી પડી અને બે દિવસમાં જ આ નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
