નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર, ઉનાળામાં પણ ખેતી માટે પાણી મળશે
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્ય સરકારે ઉનાળુ અને રવિ પાકને ધ્યાનમાં રાખીને કેનાલ બંધ ન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
સામાન્ય રીતે ફેબ્રુઆરી અંતમાં કેનાલો સમારકામ માટે બંધ થતી હોય છે, પરંતુ આ વર્ષે ખેડૂતોના પાકને બચાવવા માટે પાણીનો પ્રવાહ ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જળ સંપત્તિ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યની કેનાલોમાં આગામી 30 એપ્રિલ 2026 સુધી સિંચાઈ માટે સતત પાણી આપવામાં આવશે.
ચાલુ વર્ષે ચોમાસું લાંબુ ચાલવાને કારણે રવિ પાકની વાવણી મોડી થઈ હતી, જેથી ખેડૂત આગેવાનોએ માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ પાણી આપવાની રજૂઆત સરકારને કરી હતી.
ખેડૂતોની આ રજૂઆતને ગંભીરતાથી લઈ 11 માર્ચ 2026ના રોજ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પાણીનો જથ્થો એપ્રિલના અંત સુધી લંબાવવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણયથી રવિ પાકને પૂરતું પાણી મળી રહેશે અને ખેડૂતોનો મોંઘો પાક નિષ્ફળ જતાં બચી જશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ મોટો ફાયદો થવાની આશા છે.












Click it and Unblock the Notifications
