ચાર પ્રદૂષિત નદીઓ બદલ ગુજરાત સરકારને નોટિસ મળી
રાજ્યના ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની બનેલી ડિવિઝન બેન્ચે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના મ્યુનિસિપલ સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ નોટિસનો જવાબ આપે. કોર્ટે કેસની હવે પછીની સુનાવણી જૂનના પહેલા અઠવાડિયામાં રાખવાનું નક્કી કર્યું છે.
અરજદાર પ્રકાશ કાપડિયા છે જે ‘જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ' નામની બિન-સરકારી સંસ્થાના પ્રમુખ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રાજ્યની ચાર મોટી નદી - સાબરમતી (અમદાવાદ), વિશ્વામિત્રી (વડોદરા), તાપી (સુરત) અને આજી (રાજકોટ)માં ખૂબ જ પ્રદૂષણ ફેલાયેલું છે, કારણ કે તેમાં ગટરનું પાણી, ગંદો કચરો અને કારખાનાઓના ઝેરી પદાર્થોને ઠાલવવામાં આવે છે.
અરજદારનો એવો પણ આરોપ છે કે તંત્રમાં ભ્રષ્ટાચાર હોવાને લીધે ઉદ્યોગો એમનો ઝેરી કચરો નદીઓમાં ઠાલવી તેને પ્રદૂષિત કરે છે. જીપીસીબી આને રોકવામાં નિષ્ફળ ગયું છે.