આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ
ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવતી વધુમાં વધુ રકમનો ખર્ચ કરી નાગરિકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ 2021-22માં રૂપિયા 1502.32 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી હતી.
વર્ષ 2022-23માં રૂપિયા 334 કરોડના વધારા સાથે રૂપિયા 1836.83 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, તેમ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં રૂપિયા 1279.88 કરોડ અને વર્ષ 2022-23માં રૂપિયા 1591.87 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી આ રકમ પૈકી વર્ષ 2021-22માં 94.71 ટકા અને વર્ષ 2022-23માં 92.38 ટકા રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી બળવંત રાજપૂતે ઉમેર્યું કે, ગત બે વર્ષમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને નવા કડિયા નાકાઓ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ શ્રમિક પરિવારના બાળકોના શિક્ષણ માટે વિવિધ યોજનાઓ હેઠળ સહાય પણ ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત શ્રમિકોની આરોગ્ય તપાસ માટે નવા 25 ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવ્યા છે. યુવાનોના કૌશલ્ય વિકાસ માટે કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટી હેઠળ 23 પ્રકારના ટૂંકાગાળાના નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.
મંત્રી બળવંત રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 2021-22માં આઇટીઆઇ દ્વારા 1.23 લાખથી વધુ તેમજ વર્ષ 2022-23માં 1.28 લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. યુવાનોને નવા કૌશલ્યો વિષયક તાલીમ આપવા માટે કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટી અને રાજ્યના આઇટીઆઇ ખાતે વિવિધ અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ ડ્રોન ટેક્નોલોજી હેઠળ યુવાનોને તાલીમબદ્ધ કરવા તાલીમ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે












Click it and Unblock the Notifications
