Gujarat News: પ્રી-પ્રાઇમરી સ્કૂલો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પ્રવેશ માટેના નિયમો હળવા કરવામાં આવ્યા
Gujarat News: ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક (પ્રી-પ્રાઇમરી) શાળાઓ માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેનાથી શાળાઓના સંચાલકો અને વાલીઓને મોટી રાહત મળી છે. આ નવા નિયમો ખાસ કરીને પ્રવેશ માટેની વયમર્યાદા સંબંધિત છે. જે અગાઉના કડક નિયમો સામે સંચાલકોના વિરોધ બાદ હળવા કરવામાં આવ્યા છે.

પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં નવા નિયમો અનુસાર વયમર્યાદામાં ફેરફાર
શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા નિયમો મુજબ, હવે બાળકોને જુનિયર કે.જી, સિનિયર કે.જી, અને બાલવાટિકામાં પ્રવેશ માટેની વયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- જુનિયર કે.જી: જે બાળકોએ 4 વર્ષ પૂર્ણ ન કર્યા હોય, તેમને જુનિયર કે.જી.માં પ્રવેશ આપી શકાશે.
- સિનિયર કે.જી: જે બાળકોની ઉંમર 4 વર્ષથી વધુ હોય તેમને સિનિયર કે.જી.માં પ્રવેશ મળશે.
- બાલવાટિકા : જે બાળકો 5 વર્ષથી વધુ ઉંમરના હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપી શકાશે.
આ ફેરફારોથી વાલીઓ અને સંચાલકોને મોટી રાહત મળી છે, કારણ કે, અગાઉની કડક વયમર્યાદાને કારણે ઘણા બાળકો પ્રવેશથી વંચિત રહી જતા હતા.
આ નવા નિયમો હેઠળ, તમામ પૂર્વ પ્રાથમિક બિન-અનુદાનિત સંસ્થાઓ (Private Pre-Primary Schools) માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલાનો હેતુ આવી શાળાઓના કાર્યપદ્ધતિ પર દેખરેખ રાખવાનો અને શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવાનો છે. આ નિયમથી પૂર્વ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં પારદર્શિતા આવશે અને બાળકોને વધુ સારું વાતાવરણ મળી રહેશે. અગાઉ, કડક નિયમો અને વયમર્યાદાની જોગવાઈઓ સામે શાળાઓના સંચાલકોએ ચીરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને ધ્યાનમાં લઈને સરકારે આ નિયમોમાં ફેરફાર કરીને વાલીઓ અને શાળાઓ બંનેને સંતોષ થાય તેવો માર્ગ અપનાવ્યો છે.












Click it and Unblock the Notifications
