ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાત સરકાર સતર્ક, મુખ્યમંત્રીએ સમિક્ષા બેઠક યોજી
રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ છે. સતત વધી રહેલા કેસોને લઈને ગુજરાત સરકાર એક્શનમાં આવી છે.
વાયરસના કેસો વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં હાઈલેવલ બેઠક યોજી હતી.

રાજ્યમાં જિલ્લાઓના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જિલ્લાઓમાં આ વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા, સર્વેલન્સ કામગીરી, રોગ નિવારણ પગલાં અને ઉપચારાત્મક બાબતો અંગે વિગતો મેળવી.
આ શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસનો પ્રથમ કેસ ૨૭ જૂનના રોજ રાજસ્થાન ઉદેપુરના એક દર્દી ગુજરાતમાં હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે દાખલ થતા મળી આવ્યો હતો. હાલ રાજ્યમાં ૧૮ જુલાઇ ૨૦૨૪ ની સ્થિતિએ ગુજરાત રાજ્યના 30 સહિત કુલ 33 શંકાસ્પદ કેસો વાયરલ એન્કેફેલાઇટીસના મળી આવ્યા છે.
જેમાં કુલ 16 મૃત્યુ નોંધાયા છે. સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પુના મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૭ સેમ્પલના પરિણામ આવ્યા છે. જેમાં ૬ સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે નેગેટીવ અને ફક્ત એક જ સેમ્પલ પોઝીટીવ નોંધાયો છે.
રાજ્યના આરોગ્ય તંત્રએ ચાંદીપુરા અને વાયરલ એન્કેફેલાઇટીસના વેક્ટર નિયંત્રણ અને અટકાયત માટે સઘન પગલાંઓ લેવાના શરૂ કર્યા છે તેની વિગતો પણ આ સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી.
અત્યારસુધીમાં 260 ટીમો દ્વારા 11,050 ઘરોમાં કુલ 56,651 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. 4838 કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે.
મેલેથિયન પાવડર જિલ્લાઓમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આમ છતાં જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવા આરોગ્ય તંત્રને સૂચન કરાયુ છે.
રાજ્યની દરેક જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં દાખલ થતાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈને તાત્કાલિક પુના ખાતેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજીમાં તપાસણી માટે મોકલવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બેઠકમાં તાકીદ કરાઈ છે.
આ સિવાય આવા શંકાસ્પદ દર્દીઓને સંબંધિત હોસ્પિટલોમાં તાત્કાલિક યોગ્ય સારવારની વ્યવસ્થા માટે પણ સૂચનો કરાયા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓને દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા આ વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવ્યું.
વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે ૧૦૪ નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.
તબીબોના નિદાન મુજબ પ્રવર્તમાન જોવા મળતા કેસમાં વાયરલ એન્કેફેલાઇટીસના કેસ હોવાનું પ્રાથમિક તારણ જોવા મળ્યું છે જેના લક્ષણો ચાંદીપુરને મળતા આવે છે. માટે આ વાયરલના પ્રાથમિક લક્ષણો જણાતા દર્દીને સધન સારવાર માટે મેડિકલ કૉલેજ અથવા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરાવવા આદેશ કરાયા છે.












Click it and Unblock the Notifications
