..તો આ રીતે નલિયાકાંડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે થયું સમાધાન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શંકરસિંહ વાઘેલાને ખાતરી આપી હતી કે, નલિયાકાંડમાં સંડોવાયેલા ભાજપના કાર્યકર્તાઓને ભાજપ સરકાર છોડશે નહીં.
20 ફેબ્રુઆરી, 2017ને મંગળવારથી ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર ની શરૂઆત થઇ છે અને આ સાથે જ રોજ ગૃહમાં નલિયાકાંડ મુદ્દે પણ ગરમાગરમી થાય છે. ઉલ્લેખનીય છે કે, બજેટ સત્રના પહેલા દિવસે વિપક્ષ કોંગ્રેસ અને ભાજપ સરકાર સામસામે થઇ જતાં ઘર્ષણના અનેક દ્રશ્યો સર્જાયા હતા. ત્યાર બાદ 21 ફેબ્રૂઆરીના રોજ ગૃહમાં પ્રશ્રનોત્તરી કાળ દરમિયાન આ અંગે સવાલ પૂછાતાં હોબાળો થયો હતો. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે નલિયાકાંડનો મુદ્દો કાઢતાં વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે બાદ વાતાવરણ ગરમ થતાં પ્રશ્રોત્તરી કાળ રદ્દ કરવામાં આવ્યો હતો.

વિજય રૂપાણીનું ગૃહમાં નિવેદન
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ખાતરી આપી હતી કે, નલિકાંડમાં સંડોવાયેલા ભાજપના કાર્યકર્તાઓને ભાજપ સરકાર છોડશે નહીં. તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ છતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા એ પોતાની વાત પકડી રાખતાં હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે જઇ સીટીંગ જજની માંગણી કરવાનું કહ્યું હતું. છેવટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતરી આપી હતી કે, આપણે બંને સાથે બેસીને આ અંગે નિર્ણય લઇશું, અત્યારે ગૃહને શાંતિથી ચાલવા દો.
મુખ્યમંત્રીએ ખાતરી આપ્યા બાદ અધ્યક્ષ રમણલાલ વોરાએ હસ્તક્ષેપ કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી આટલા ઉદારભાવે કહેતા હોય તો આ પ્રશ્ન અહીં જ પૂરો કરવો જોઇએ. ત્યારબાદ ગૃહની કામગીરી આગળ ચાલી હતી.
સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે યોજાઇ બેઠક
આજે 22 ફેબ્રુઆરી, બુધવારના રોજ વિધાનસભા અધ્યક્ષ રમણ વોરાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શંકરસિંહ વાઘેલાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, બળવંત સિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નલિયાકાંડનો મુદ્દો ચર્ચાયો હતો અને સીએમ વિજય રૂપાણીએ નલિયાકાંડ મામલે ન્યાયિક તપાસ કરાવવાની ખાતરી આપી હતી. જે બાદ ગૃહમાં નલિયા કાંડ મુદ્દે થનારી ચર્ચા રદ કરવામાં આવી હતી.
નલિયાકાંડ મુદ્દે નિયમ 116 હેઠળ થવાની હતી ચર્ચા
ઉલ્લેખનીય છે કે, આજે નિયમ 116 હેઠળ ગૃહમાં ચર્ચા થવાની હતી. પરંતુ વિધાનસભાની કામગીરી શરૂ થાય એ પહેલાં અધ્યક્ષની ચેમ્બરમાં વિજય રૂપાણી અને શંકરસિંહ વાઘેલા તથા વિપક્ષના અન્ય નેતાઓની બેઠક મળી હતી. જેમાં આખરે નલિયાકાંડ મામલે સત્તાપક્ષ વિપક્ષ વચ્ચે સમાધાન થયું હતું. આ સમાધાનની વિગતો વિજય રૂપાણીએ ગૃહમાં રજૂ કરી ન્યાયિક તપાસની ખાતરી આપતાં મામલો આખરે થાળે પડ્યો હતો અને ગૃહની કામગીરી શાંતિપૂર્વક શરૂ થઇ હતી.












Click it and Unblock the Notifications
