ગુજરાત હાઇકોર્ટે નરોડા પાટીયા કેસમાં દોષિત બાબુ બજરંગીને હંગામી જામીન આપ્યા
અમદાવાદ, 5 ઓગસ્ટ : આજે ગુજરાત હાઇકોર્ટે એક આદેશમાં નરોડા પાટિયા રમખાણ કેસમાં દોષિત ઠરેલા અને જેલવાસ ભોગવતા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના નેતા બાબુ બજરંગીને હંગામી કે કામચલાઉ (ટેમ્પરરી) જામીન આપ્યા છે.
નોંધનીય છે કે આ જામીન બાબુ બજરંગીને તેમની આંખોની સારવાર કરાવવા માટે આપવામાં આવ્યા છે. એક મહિના પહેલા બાબુ બજરંગીએ તેમની આંખોની સારવાર કરાવવાના સંદર્ભમાં એક જામીન અરજી હાઇકોર્ટમાં કરી હતી.

નરોડા પાટિયા કેસમાં આજીવન કેદની સજા પામેલા બાબુ બજરંગીએ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે તેમની આંખોમાં 90 ટકા અને 40 ટકા વિઝન જતું રહ્યું છે. તેથી તેમને જરૂરી ટ્રીટમેન્ટ કરાવવા કામચલાઉ જામીન જરૂરી છે.
નોંધનીય છે કે નીચલી અદાલતે ૨૦૧૨માં બાબુ બજરંગીને આજીવન કેદની સજા કરી હતી. જો કે તે સામે આ પહેલા પણ નવેમ્બર, 2013માં પણ ગુજરાત હાઈકોર્ટે બાબુ બજરંગીને તેમના પિતાની સારવારના સંદર્ભમાં એક મહિનાના જામીનની માંગ સામે દસ દિવસના જામીન આપ્યાં હતા.
નોંધનીય છે કે નરોડા પાટિયા કાંડમાં 50થી વધુ લોકોના મોતના મામલે કોર્ટે માયાબહેન કોડનાની, બાબુ બજંરગી સહિત દસ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તાજેતરમાં માયા કોડનાનીને આ જ કેસમાં હાઈકોર્ટમાં કાયમી જામીન આપ્યા બાદ હવે બીજા આરોપીને પણ હાલ 11 દિવસના જામીન મળી ગયા છે.












Click it and Unblock the Notifications
