ગોંડલ રાજકુમાર જાટ મોત કેસમાં નાર્કો ટેસ્ટને લઈને હાઈકોર્ટનો મોટો આદેશ
ગોંડલ રાજવી પરિવારના યુવક રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટે રાજ્ય સરકારને કેસના આરોપીઓના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ તાત્કાલિક અને સીલબંધ કવરમાં રજૂ કરવાનો સખત આદેશ આપ્યો છે. આ સુનાવણી દરમિયાન સરકારે પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે આ સંવેદનશીલ કેસની તપાસ હાલમાં ત્રણ અલગ-અલગ દિશામાં ચાલી રહી છે. સમગ્ર તપાસની કામગીરીનું સીધું સુપરવિઝન SP અને DySP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે તપાસ વૈજ્ઞાનિક ઢબે આગળ વધી રહી છે, જેમાં પોલીસ દ્વારા કુલ 15 જેટલા મુખ્ય મુદ્દાઓને લક્ષમાં લેવામાં આવ્યા છે.
વધુમાં સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે કેસના મહત્વના પુરાવાઓ એકત્ર કરવા માટે CCTV ફૂટેજની ચકાસણી અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. આ તબક્કે ગુજરાત હાઈકોર્ટે સરકારી વકીલને ખાસ કરીને આરોપીઓના નાર્કો ટેસ્ટની પ્રગતિ વિશે પ્રશ્ન કર્યો હતો.
સરકાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તેનો અંતિમ રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે. સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે એક સપ્તાહ (Seven Days)ની અંદર નાર્કો ટેસ્ટનો સંપૂર્ણ રિપોર્ટ પ્રાપ્ત થઈ જશે.
કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને અને સરકારની વધુ સમયની માંગણી સ્વીકારીને હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં ચાલી રહેલી તમામ તપાસનો વિગતવાર અહેવાલ તેમજ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ સીલબંધ કવરમાં જ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. હવે આ કેસની આગામી સુનાવણી 7 જાન્યુઆરી, 2026 ના રોજ હાથ ધરવામાં આવશે.












Click it and Unblock the Notifications
