ભાજપને ઓછી બેઠકો મળવા પાછળ કસાઇ દાણચોરો જવાબદાર
પ્રદીપ સિંહ જાડેજાના મત મુજબ કસાઇ અને દાણચોરોએ ભાજપને વોટ ના આપ્યા તે કારણે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ઓછા મત મળ્યા. ત્યારે જાણો આ સમાચાર અંગે વધુ અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભલે સતત 22 વર્ષો પછી પણ છઠ્ઠી વાર વિજય મળી હોય પણ ઓછી બેઠકોએ ભાજપની ચિંતા વધારી છે. આ તમામની વચ્ચે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ ઓછી સીટો મળવા માટે કસાઇ અને દાણચોરોએ ભાજપને વોટ ન આપ્યો હોવાની વાત કહી છે. તેમણે કહ્યું કે ભાજપે જ્યારથી ગૌહત્યા મામલે કડક કાનૂન બનાવ્યો છે ત્યારથી અને દાણાચોરો પર પણ કડક પગલાં લેવાયા હોવાના કારણે આ બંન્ને લોકોએ ભાજપને વોટ નથી આપ્યો. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકોમાંથી ભાજપને ખાલી 99 બેઠકો જ મળી છે. અને કોંગ્રેસને 77 બેઠકો પર જીત મળી છે. 19 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલના અભિભાષણ પછી ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન જાડેજાએ કહ્યું હતું કે અનેક સ્કૂલોના માલિકો આ વાતને નાખુશ છે કે સ્કૂલોની ફી ન વધે તે માટે અમે કડક કાનૂન લઇને આવ્યા છીએ.
જે લોકો કેન્દ્રમાં સરકારે ત્રણ તલાક બિલ પસાર કરવા મામલે પણ નાખુશ છે તેમણે પણ ભાજપને વોટ નથી આપ્યો પણ અમે તે લોકોને લઇને ચિંતત નથી. જાડેજાએ કહ્યું કે કોંગ્રેસે ખાલી 77 સીટો પર જીત મેળવી છે અને કોંગ્રેસના નેતાઓ લોકોને જાતિ અને સંપ્રદાયના આધારે ભડકાવી રહ્યા છે. કોંગ્રેસનો દાવો હતા કે તેમની પાર્ટી આ વખતે ગુજરાતમાં સત્તામાં આવશે. અને 125 જેટલી બેઠકો મેળવશે. પણ તેમને ખાલી 77 બેઠકો પર સીટ મેળવીને જ ખુશ થવું પડ્યું. જાડેજાએ આ પ્રસંગે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે જે ક્યારેય મંદિર નથી ગયા તેમને આ ચૂંટણીમાં અનેક વાર મંદિર જવું પડ્યું. તેમ છતાં ગુજરાતમાં તેમને સત્તા ના મળી.