પાવાગઢ અને માતાના મઢ ખાતે નવરાત્રિ મેળામાં જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, GSRTC દોડાવી રહી છે 120 એક્સ્ટ્રા બસો
Gujarat News: પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રિના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા કુલ 120 એક્સ્ટ્રા ST બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત 8.20 લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે. ST નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે.

દર્શનાર્થીઓ મેળાનો લાભ લઇ શકે તે પ્રકારની સુવિધા નિગમ દ્વારા કાર્યરત કરવામાં આવી છે
વધુમાં ગત વર્ષે નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે આસો નવરાત્રિ મેળામાં 50 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને 7 લાખ અને માતાના મઢ ખાતે 60 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને 63 હજાર દર્શનાર્થીઓએ મેળાનો લાભ લીધો હતો. જ્યારે ચાલુ વર્ષ -2025માં પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માંચી સુઘી નિગમ દ્વારા દૈનિક 55 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને અંદાજિત 7.5 લાખ તેમજ કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી માતાના મઢ સુધી 65 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને અંદાજિત 70 હજાર મળીને કુલ આશરે 8.20 લાખથી વધુ દર્શનાર્થીઓ મેળાનો લાભ લઇ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ દરમ્યાન પાવાગઢ ખાતે આસો નવરાત્રિ મેળો તા.22 સપ્ટેમ્બરથી તા. 07 ઓક્ટોબર 2025સુધી જ્યારે માતાનો મઢ-કચ્છ ખાતે તા.18 સપ્ટેમ્બરથી તા. 30 સપ્ટેમ્બર 2025 સુધી કાર્યરત રહેશે. આ મેળા દરમિયાન ST નિગમ દ્વારા 24*7 કલાકે બસોનું સંચાલન કરવામાં આવશે.
આ વર્ષે વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને દર્શનાર્થીઓને સુરક્ષિત, સરળ અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ કટિબદ્ધ છે.












Click it and Unblock the Notifications
