દેશમાં રોકાણમાં ગુજરાત પાંચમા ક્રમે : શંકરસિંહ વાઘેલા

આ અંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વિકાસની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારે છ-છ વાયબ્રન્ટ મહોત્સવ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં છેલ્લાં 10 વર્ષમાં ફક્ત રૂપિયા 36,913 કરોડના વિદેશી મૂડીરોકાણ સાથે દેશમાં પાંચમાં ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર કોઈપણ વાયબ્રન્ટ મહોત્સવ વગર એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર રૂપિયા 2,54,624 કરોડના વિદેશી મૂડીરોકાણ સાથે પ્રથમ ક્રમે છે.
તેમણે જણાવ્યું કે ખેતી ક્ષેત્રે પણ સરકારના જ આંકડા જોઈએ તો સરકાર દ્વારા જૂઠ્ઠાણું ચલાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં 10 લાખ જેટલા ખેડૂતો વીજળી વગર ટળવળે છે. ગુજરાત કૃષિ પેદાશમાં પણ દેશમાં 10મા છેવાડાના ક્રમે આવે છે. રાજ્યમાં 57% જેટલા બાળકો અને મહિલાઓ કુપોષણથી પીડાય છે, તેની ચિંતા કરવાને બદલે સરકાર મહિલાઓ બ્યુટી કોન્શીયસ હોવાને કારણે પાતળી દેખાવા માટે કુપોષણથી પીડાય છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ટુડે કોન્કલેવ, દિલ્હીના પ્રવચનમાં રાજ્યમાં કોઈ ગરીબ નથી, પરંતુ બહારના રાજ્યોના ગરીબો ગુજરાતમાં આવે છે, તેના કારણે ગુજરાતમાં ગરીબી છે તેવા અસત્ય નિવેદનની ટીકા કરતાં વાઘેલાએ જણાવ્યું કે, ભાજપ સરકાર આ અંગે શ્વેતપત્ર બહાર પાડે અને બહારના રાજ્યના કેટલા ગરીબ લોકો ગુજરાતમાં આવ્યા છે તે જાહેર કરે. જો ગુજરાતમાં ગરીબો ન હોવાની જાહેરાતો થતી હોય તો સરકાર ગરીબો માટે કરોડો રૂપિયાનો વ્યય કરે છે ? આ ગરીબ કલ્યાણ મેળાઓ પાછળ કરવામાં આવતો કરોડો રૂપિયાનો ખર્ચ લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે કરવો જોઈએ.
કેન્દ્ર દ્વારા ગુજરાતને 861.77 કરોડ જેટલી માતબર રકમ દુષ્કાળ રાહત પેટે ફાળવવામાં આવી છે ત્યારે પ્રજાને આગોતરા આયોજનના મૃગજળ બતાવવાનું બંધ કરી, ખોટા આશ્વાસનો આપવાનું બંધ કરી, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પ્રજાને પીવાનું પાણી તાત્કાલિક પહોંચાડવી જોઈએ. ‘ખાતો નથી, ખાવા દેતો નથી' તેવી વાતો કરનાર લોકાયુક્તની નિમણુંકથી ડરીને કોર્ટ કચેરીમાં ગુજરાતની પ્રજાના કરોડો રૂપિયા વાપરવાના બંધ કરે અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ કરે.












Click it and Unblock the Notifications
