ઓખા- બેટ દ્વારકા વચ્ચે બનશે બ્રીજ, PM મોદીએ કર્યું ખાતમૂહર્ત
નરેન્દ્ર મોદી પહોંચ્યા દ્વારકાના કાર્યક્રમ સ્થળે જ્યાં ઓખા- બેટ દ્વારકા વચ્ચે બનશે બ્રીજ બનાવવા ખાતમૂર્હર્ત કરવામાં આવશે. સાથે જ PM મોદીએ સભાને સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત તેમણે શનિવારે, સૌ પ્રથમ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. અને તે પછી ઓખા-બેટ દ્વારકા વચ્ચે થનારા સિગ્નેચર બ્રિજના ખાતમૂર્હર્તના સ્થળે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમેત સીએમ વિજય રૂપાણી, ભૂતપૂર્વ સીએમ આનંદીબેન પટેલ અને નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 962.43 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ બ્રીજ અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓનો સમય પણ બચશે અને પ્રવાસનને પણ વેગ મળશે. સાથે જ આ બ્રીજ પર સોલાર પેનલ મૂકી 1 મેગા વોટ વિજળીની પણ ઉત્પાદન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ બ્રીજ આવનારા 30 માસમાં બની જશે.
ત્યારે આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ, કેમ કેવું લાગે છે? કહી જનસંબોધન શરૂ કર્યું હતું. વધુમાં પીએમ કહ્યું બેટમાં લોકોએ લાંબા સમય સુધી બ્રીજ વગર મોટી મુશ્કેલીઓ સહન કરી છે. સાંજ પહેલા જ તમામ કાર્યો બેટના લોકોએ કરી લેવા પડતા હતા. આ બ્રીજથી દેશ ભરથી આવતા શ્રદ્ઘાળુઓ અને બેટના લોકો બન્ને ફાયદો થશે. ત્યારે આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કયાં મહત્વના મુદ્દાઓ પર ટિપ્પણી કરી તે અંગે વાંચો અહીં...
કોંગ્રેસ પર કટાક્ષ
પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે તે જ્યારે સામાજીક કાર્યકર હતા ત્યારે છાપામાં તે વખતે જામનગરમાં જ્યારે કોંગ્રેસના માધવસિંહ સોલંકી સરકાર હતી એક જાહેરાત આવી હતી. મોટા પેજ પર સીએમ માધવસિંહ સોલંકી એક પાણીની ટાંકીનું ઉદ્ધાટન કરશે તેમ જણાવ્યું હતું. આમ કહી પીએમ કહ્યું કે કોંગ્રેસની માટે વિકાસની વાતો પણ પાણીની ટાંકી સુધી જ સિમિત હતી. અમારી સરકાર અને હું ખાલી તમારા સપનાઓને ચરીતાર્થ કરવા માટે મહેનત કરી રહ્યા છીએ.
બ્લુ ઇકોનોમી પર મોદી
વધુમાં આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ બ્લુ ઇકોનોમી પર પણ વાત કરતા કહ્યું કે બ્લુ ઇકોનોમીના ક્ષેત્રમાં ગુજરાત દેશની મોટી તાકત તરીકે ઊભું કરી શકાય તેમ છે. બ્લુ ઇકોનોમીની તમામ સંભાવનાઓ આપણી પાસે છે. અમે પોર્ટનો વિકાસ કરવામાં માંગીએ છીએ પણ સાથે જ પોર્ટ આધારિત વિકાસ પણ કરવા માંગીએ છીએ.
માછીમારો માટે લોન
પીએમ મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું કે માછીમારો માટે કેન્દ્ર સરકાર એક સારી યોજના લાવશે. માછીમારોને સશક્તિકરણ કરવા માટે સરકાર ઓછા વ્યાજ સાથે તેમને લોન આપશે. અને તે સામૂહિક રીતે ભેગા થઇને દોઢ બે કરોડની બોટ ખરીદી શકે અને સારી રીતે માછીમારી કરી શકે. જેથી કરીને તેમની કમાણી વધશે. અને આ બોટમાં કોલ્ડસ્ટોરેજ સમેત તમામ વ્યવસ્થા હોય તેવો પ્રયાસ સરકાર કરશે.
મરીન ઇનસ્ટિટ્યૂટ બનશે
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત પાસે વિશાળ સમુદ્ર તટ છે. તેની સુરક્ષા માટે અને મરિન પોલીસને આધુનિક બનાવવા માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે આ માટે દ્વારકાના મોજક પાસે એક મરિન પોલીસ ટ્રેનિંગ ઇનસ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે.
અલંગ માટે યોજના
વધું કંડલા અને અલંગના વિકાસ માટે પણ સરકાર દ્વારા ખાસ પગલાં ઉઠાવવામાં આવશે તે અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભાવનગરનું અલંગ વિશ્વભરમાં તેમની ઓળખ ધરાવે છે. આવનારા સમયમાં અમે અલંગ માટે મોટી યોજના બનાવી તેનો વિકાસ કરવા માંગીએ છીએ.
જીએસટી
જીએસટી મામલે પીએમ મોદીએ આ કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું કે જીએસટીએ આજે દુનિયાનું ધ્યાન ભારત તરફ કર્યું છે. લોકો અહીં મૂડી રોકાણ માટે આવી રહ્યા છે. ત્યારે આ પ્રણાલીને લાગુ થયાને ખાલી હજી 3 મહિના જ થયા છે. અને આ ટેક્સને વધુ સામાન્ય કરવા માટે અમે પ્રયાસો કરીશું. સાથે જ જીએસટીને અપનાવા માટે તેમણે લોકોનો આભાર માન્યો હતો.