રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ તૈનાત
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસર હેઠળ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસર હેઠળ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલા 'શાહિન' વાવાઝોડુ વધી તીવ્ર બનશે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની તીવ્રતા વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક ઓક્ટોબરે પવનની ઝડપ 150 કિલોમીટર સુધીની થઈ શકે છે. વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભારે પવન અને વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આણંદ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને મોરબીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 1 ઓક્ટોબરે પણ વાવાઝોડાની અસર જોવા મળશે. શુક્રવારે કચ્છ, દામનગર, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને એલર્ટ કરાયા
રાજ્યમાં વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિના કારણે માછીમારોને 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. કોસ્ટગાર્ડ હેલિકૉપ્ટરની મદદથી સતત માછીમારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં શાહિન વાવાઝોડાનુ જોખમ પણ છે. વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ બોલાવી બેઠક
સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી. મુખ્યમંત્રીએ પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ભરુચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઈ મોટુ નુકશાન કે જાનહાનિ ન થાય એ માટે સંબંધિત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સતર્કતા અંગેની માહિતી મેળવી હતી. પોરબંદર અને જૂનાગઢમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવા, ભોજનની વ્યવસ્થા, પવનની ગતિ વગેરેની માહિતી મેળવી હતી અને માર્ગદર્શન આપ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના 141 ડેમમાં 82 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાં 30 ટકા પાણીનો જથ્શો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 87 ટકા પાણીનો જથ્થો છે જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91 પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 63 ટકા પાણીનો જથ્થો છે.