કેદારનાથના જીર્ણોદ્ધાર માટે ગુજરાત તૈયાર: નરેન્દ્ર મોદી
ગાંધીનગર, 23 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોડી સાંજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે બેઠક યોજીને ઉત્તરાખંડની મેઘતાંડવની વિનાશક કુદરતી આફતમાં તારાજ થયેલા પ્રસિદ્ધ કેદારનાથ તીથર્ના પરિસરનો આધુનિક જિર્ણોદ્ધારની જવાબદારી લેવા ગુજરાત તૈયાર છે તેવી દરખાસ્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે, કરોડો-કરોડો ભારતીયોની આધ્યાત્મિક આસ્થાના શ્રદ્ધા કેન્દ્ર સમા કેદારનાથ તીર્થધામનું સમગ્ર પરિસર આધુનિકત્તમ તીર્થક્ષેત્ર તરીકે વિકસાવવા ગુજરાત તૈયાર છે. કેદારનાથના મૂળ મંદિરનું નિર્માણ સ્થાનિક ધાર્મિક ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા થાય તે સાથે જ કેદારનાથનું સમગ્ર પરિસર આધુનિકત્તમ તીર્થક્ષેત્ર બને તેવા વિકાસની જવાબદારી લેવા ગુજરાત તૈયાર છે, તેમ તેમણે જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની આ અભૂતપૂર્વ મહાવિનાશક કુદરતી આફતનો ભોગ બનેલા લોકો અને રાજ્ય સરકારની પીડા અને વ્યથામાં ગુજરાત સંપૂર્ણ સહભાગી છે અને જરૂરી તમામ મદદ કરવા પ્રતિબદ્ધ છે, તેમ જણાવ્યું હતું. ઉત્તરાખંડની આ કુદરતી આફત એટલી મહાભયાનક છે કે તેના પુનરોત્થાન માટે જરૂરી તમામ મદદ કરવા આખો દેશ તૈયાર છે. આ માનવીય સંવેદનાનો પડકાર છે અને ગુજરાત માનવતાનો ધર્મ અદા કરવામાં કોઇ કચાશ નહીં રાખે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નરેન્દ્ર મોદીએ આપત્તિથી તારાજ થયેલા વિસ્તારોના પુનઃનિર્માણ અને પુર્નવસન માટે ગુજરાત સરકારે આપત્તિ વ્યવસ્થાપનની મોડેલરૂપ વ્યવસ્થા અને નીતિઓ વિકસાવી છે તેનો અભ્યાસ કરીને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ તેનો ઉપયોગ થઇ શકે તે માટે અધિકારીઓની એક ટીમ ગુજરાત મોકલવા અને નીતિઓ-માર્ગદર્શિકાનો અભ્યાસ કરવા પણ સૂચવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ આજે આખો દિવસ તેમણે ઉત્તરાખંડના અસરગ્રસ્તો સાથે વિતાવ્યો હતો તેની ભૂમિકા આપી એમ પણ જણાવ્યું કે, જેઓ લાપતા છે અથવા જેમના પાર્થિવ દેહો ઓળખાઇ શકાયા નથી તેમની ડી.એન.એ. ટેકનોલોજી દ્વારા ઓળખ કરવા માટે તેમના શરીર ઉપરની નિશાની અને ચીજવસ્તુઓને સાચવીને વિડીયોગ્રાફી કરાવી લેવી જોઇએ, તેવું સૂચન કર્યું હતું.
તારાજ થયેલા વિસ્તારોમાં મલબો કાઢવા માટે ખૂબ મોટાપાયે માનવશક્તિ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાના સૂચનો પણ તેમણે કર્યા હતા. આ ઉપરાંત જયાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે તેમને હેમખેમ પરત લાવવા આર્મીના હેલીકોપ્ટરનો ઉપયોગ કરવા અને છૂટાછવાયા અટવાયેલા લોકોને પરત લાવવા નાના હેલીકોપ્ટરનો ઉપયોગ થવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
આટલી મોટી પાણીની હોનારત પછી પાણીજન્ય રોગચાળાનો ઉપદ્રવ ડામવા માટેના ઉપાયો અંગે પણ તેમણે સૂચનો કર્યા હતા અને ગુજરાત સરકારે આજે મેડીકલ ટીમ દવાઓ અને તબીબી સાધનો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી છે અને જરૂર પડે હજુ વધુ પણ દવાઓ-ટીમો મોકલવાની તત્પરતા તેમણે વ્યકત કરી હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ આ વિનાશક આપત્તિની વેળાએ ગુજરાતની સમયસરની મદદ અને માનવતાનો ધર્મ નિભાવવા માટે ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી અને ગુજરાતની પ્રજાનો આભાર માન્યો હતો.
આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી રામલાલજી, ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી મેજર બી. સી. ખંડૂરી, ગુજરાતના રાહત કમિશનર શ્રી પૂનમચંદ પરમાર, મુખ્ય મંત્રીના અધિક અગ્ર સચિવ એ. કે. શર્મા અને ઉત્તરાખંડના મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.