ખરાબ રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે સરકાર એક્શનમાં
ગુજરાતમાં વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર હાલતને કારણે નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક વલણ અપનાવ્યું છે. આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં તેમણે મંત્રીઓને આદેશ આપ્યો છે કે રસ્તાના કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, જો નવા બનેલા રસ્તાઓ ટૂંકા સમયમાં તૂટી ગયા હોય તો માત્ર રિપેરિંગથી કામ નહીં ચાલે. આવા કિસ્સાઓમાં જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ સહિત કડક કાયદાકીય કાર્યવાહી કરવી પડશે. તેમણે મંત્રીઓને આ મામલે સ્પષ્ટ સૂચના આપી છે.

આ બેઠકમાં મુખ્યમંત્રીએ રસ્તાઓની ગુણવત્તા બાબતે ગંભીર નોંધ લીધી હતી. રાજ્યના ઘણા વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ હાલતથી પ્રજાને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેમણે તમામ મંત્રીઓને ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા અને ખરાબ કામગીરી કરનારા તત્વો સામે દાખલારૂપ પગલાં લેવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીની સૂચના મુજબ, જો કોઈ વિસ્તારમાં તાજેતરમાં જ બનેલા રસ્તાઓ તૂટી ગયા હોય કે ધોવાઈ ગયા હોય તો તેને ગંભીર બેદરકારી ગણવામાં આવશે. આવા સંજોગોમાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને જવાબદાર એજન્સીઓ કે અધિકારીઓ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વધુમાં, મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને તેમના મતવિસ્તાર ઉપરાંત જે જિલ્લાઓના તેઓ પ્રભારી છે, ત્યાં રૂબરૂ મુલાકાત લઈને રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરવા જણાવ્યું છે. જો નિરીક્ષણ દરમિયાન ભ્રષ્ટાચાર કે હલકી ગુણવત્તાનું કામ ધ્યાને આવે તો માત્ર નોટિસ આપીને સંતોષ ન માનતા કાયદાકીય કાર્યવાહી કરવા અને જરૂર પડ્યે ખાતાકીય તપાસ શરૂ કરવા પણ જણાવ્યું છે.
સરકારના આ કડક વલણથી હવે રસ્તાના કામમાં બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર દબાણ વધશે. મુખ્યમંત્રીના આ આદેશનો મુખ્ય હેતુ માત્ર રસ્તા સુધારવાનો જ નહીં, પરંતુ ભવિષ્યમાં થતા કામોમાં ગુણવત્તા જળવાઈ રહે અને સરકારી ભંડોળનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.












Click it and Unblock the Notifications
