‘આપ’ પર ભારે ગુજરાતનો ‘આમ આદમી’!

By Rakesh
Google Oneindia Gujarati News

ભ્રષ્ટાચાર, લોકપાલ બિલને લઇને આમ આદમીનો અવાજ બનેલા અરવિંદ કેજરીવાલના કાર્ય પર તેમની મહત્વકાંક્ષા હાવી થઇ ગઇ છે. જેના કારણે તેઓ સતત ચર્ચામાં રહેવા અને પોતાની રાજકીય પાર્ટીનો પ્રભાવ માનસ પટલ પર રહે તે માટે તેઓ કંઇકને કંઇક રાજકીય દાવ પેચ ખેલી રહ્યાં છે, જેમાં તેમની આમ આદમી પ્રત્યેની ભાવના ક્યાંક ખોવાઇ ગઇ હોવાનો અહેસાસ ગુજરાતના આમ આદમીને થઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી સતત પોતાના નેતૃત્વ હેઠળ ગુજરાતે જે વિકાસની ગાથા લખી છે, તેનાથી દેશને માહિતગાર કરી રહ્યાં છે અને ભાજપ તરફી માહોલ ઉભો કરી રહ્યાં છે. મોદી દ્વારા સતત વિકાસની વાત કરવામાં આવતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ખરેખર વિકાસ થયો છે કે નહીં તેનું નિરિક્ષણ કરવા માટે આવ્યા છે.

હાલ તેઓ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે, પરંતુ પ્રવાસનો પહેલો દિવસ અને બીજો દિવસ તેમના માટે કપરો રહ્યો છે, તથા ગુજરાતના આમ આદમીના મિજાજનો પરચો પણ તેમને ક્યાંકને ક્યાંક મળી ગયો છે. પહેલા દિવસે તેઓ ગુજરાતની પોલ ખોલવા નીકળ્યા પરંતુ કોઇ ‘ખાસ' અવિકસિત બાબત તેમના ધ્યાને ચઢી નહીં, તેવામાં આચારસંહિતા લાગી ગયા બાદ પાટણના રાધનપુરમાં પોલીસ દ્વારા તેમને રોકીને સામાન્ય પૂછપરછ કરવામાં આવતા, તેમણે એ વાતનો રાજકીય જશ ખાટવાનો પ્રયાસ કર્યો અને આરોપ મોદી પર લાદી દીધા. જેની અવળી અસર તેમના ગુજરાત પ્રવાસ પર અને આમ આદમીની લોકપ્રિયતા પર પણ પડી.

દિલ્હી અને લખનઉમાં જે હિંસક રૂપ અખત્યાર કરવામાં આવ્યું, ત્યાર બાદ પોતાના પ્રવાસને એક સામાન્ય પ્રવાસ ગણાવી, એ પ્રવાસને રાજકીય રંગમાં ઢાળી દેવાની તેમની નીતિની અસર કચ્છમાં પણ જોવા મળી છે. કચ્છના ભુજમાં જ્યારે તેઓ પ્રવેશ્યા ત્યારે તેમને રોષે ભરાયેલા સ્થાનિકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. જે એ વાતને પણ ઉજાગર કરે છે કે દિલ્હીમાં આમ આદમીનો અવાજ બનેલા કેજરીવાલ પર ગુજરાતનો ‘આમ આદમી' ભારે પડ્યો છે.

ભુજમાં સ્થાનિકોએ કર્યો વિરોધ

ભુજમાં સ્થાનિકોએ કર્યો વિરોધ

અરવિંદ કેજરીવાલનું આગમન ભુજના સ્થાનિકોને પણ પસંદ પડ્યું નથી. જેનું તાજું ઉદાહરણ ભુજની જીએન જનરલ હોસ્પિટલ છે. અરવિંદ કેજરીવાલ પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ભુજની જીએન હોસ્પિટલનું નિરિક્ષણ કરવા ગયા હતા, જ્યાં ભુજના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને લોકોનો વિરોધ અને નારાજગી એ હદે હતી કે કેજરીવાલે હોસ્પિટલનું નિરિક્ષણ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.

આપની હિંસકતાથી નારાજ આમ ગુજરાતી

આપની હિંસકતાથી નારાજ આમ ગુજરાતી

વારંવાર ધરણા કરવા અને રસ્તા પર ઉતરી જવું અને અરાજકતાનો માહોલ ફેલાવવાના રાજકારણ તરીકે આમ આદમી પાર્ટીનો ચહેરો સામે આવી રહ્યો છે, અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે કદાચ એવું લાગ્યું કે તેઓ ગુજરાતની જનતાને મળશે, તેમની સાથે ચર્ચા કરશે અને ખરેખર ગુજરાતમાં સ્થિતિ કેવી છે તે અંગે વાતો કરશે, પરંતુ પાટણના રાધનપુર ખાતે પોલીસે આચારસંહિતાના પગલે તેમના કાફલાને રોક્યો અને બાદમાં જે હિંસક માહોલ દેશના પાટનગર અને ઉત્તર પ્રદેશના લખનઉમાં જોવા મળ્યો તેનાથી ગુજરાતની જનતા નારાજ જોવા મળી રહી છે. જો કે પરિસ્થિતિનો તાગ મેળવીને કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓની હરકતની માફી માગી છે, પરંતુ તેની અસર હવે ગુજરાતમાં થશે તેવા અણસાર મળતા નથી.

ઉલટો પડ્યો કેજરીવાલનો દાવ

ઉલટો પડ્યો કેજરીવાલનો દાવ

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને વિકાસની વાતો કરી રહેલા મોદીને કોઇપણ રીતે ખુલ્લા પાડવા અને ગુજરાતમાં મોદીની સામે પોતાની લોકપ્રિયતાને વધારવાના હેતુસર આવ્યા હતા, પરંતુ જેમ-જેમ તેમનો ગુજરાત પ્રવાસ આગળ વધતો ગયો તેમ-તેમ તેમનો આ દાવ ઉલટો પડ્યો અને આખરે તેમને ગુજરાતની જનતાના વિરોધનો સામનો કરવો પડ્યો છે. જે રીતે દિલ્હીમાં જનતા તેમની સાથે આવી ગઇ હતી, તેવી જ રીતે ગુજરાતની જનતા પણ તેમની સાથે આવી જશે તેમ તેઓ વિચારી રહ્યાં હતા, પરંતુ તેઓ એ બાબત ભુલી ગયા કે ગુજરાતની જનતાએ 12ની અંદર ગુજરાતને વિકાસની દિશામાં આગળ વધતાં જોયું છે અને જ્યારે દિલ્હીમાં વર્ષોથી સ્થિતિ એની એ જ રહી હતી. તેમજ દિલ્હીમાં સરકાર બન્યા બાદ કેજરીવાલે જે રીતે રાજીનામું આપ્યું અને પોતાની હઠનો પરચો આપ્યો તેની અસર પણ ક્યાંકને ક્યાંક ગુજરાતમાં જોવા મળી છે.

લોકસભાની ચૂંટણીમાં આપને થઇ શકે છે નુક્શાન

લોકસભાની ચૂંટણીમાં આપને થઇ શકે છે નુક્શાન

જો અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસને શાંતિથી પૂર્ણ કરીને જતાં રહ્યાં હોત અને ત્યારબાદ પોતાના ચૂંટણી પ્રચારમાં મોદીના વિકાસ મોડલ સામે પોતે નિહાળેલા ગુજરાતને રજૂ કરવાના પ્રયાસો કર્યા હોત તો કદાચ બની શકે કે મોદીની આંધીમાં આમ આદમી પાર્ટીની નાવડી હાલક ડોલક થયા વગર પોતાની દિશામાં આગળ વધી શકી હોત અને ક્યાંક ને ક્યાંક મોદી માટે અડચણ ઉભી કરી શકી હોત, પરંતુ જે રીતે પાટણના રાધનપુરમાં તેમની અટકાયત અને પૂછપરછ કરવામાં આવી, તેની પાછળ તેમણે મોદીને જવાબદાર ઠેરવ્યા, દિલ્હી તથા લખનઉમાં હિંસક ઘર્ષણ અને ભુજમાં તેમનો સ્થાનિકો એ જે વિરોધ કર્યો તેના પરથી એ વાત ફલિત થાય છે કે લોકસભાની ચૂંટણીમાં આપ પાર્ટીને નુક્શાન થઇ શકે છે.

English summary
Gujarat's aam aadmi dominate on aap party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X