જાતિ, ધર્મ નહીં કર્મથી પ્રેરણામૂર્તિ બની છે આ ગરવી ગુજરાતણો
ગુજરાતને આનંદીબેન પટેલના સ્વરૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા ત્યારથી રાજ્યમાં મહિલા સશક્તિકરણના અભિયાનો તેજ બન્યા છે. ગતિશીલ ગુજરાતની ગુજરાતણો પોતાના ઘર કે સમાજ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રેરણાદાયક બની રહે તેવા કાર્યો કરી રહી છે.
આ મહિલાઓ તેમના શિક્ષણ, તેમની જાતિ, તેમના ધર્મથી નહીં પરંતુ તેમના કર્મને કારણે સમાજમાં પોતાની નવી ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહી છે. તેમના કેવા કર્મોએ તેમને જીવનમાં સફળ બનાવી તેની અહીં આપી છે ટૂંકી કહાણી...

રૂખ્સાર શેખ અબ્દુલબશીર
રૂખ્સાર શેખ અબ્દુલબશીર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ચાલતી સંસ્થા માનવ ગુલઝારમાં સેવા આપે છે. અમદાવાદની આ માત્ર 20 વર્ષની યુવતીએ નાના બાળકોમાં તમાકુ ખાવાની ટેવ છોડાવવાની સાથે તેમના પરિવાર માટે જોખમરૂપ બીજા ઘણા પ્રશ્નો સામે પોતાની સૂઝ અને સમજણથી લડત આપવાનું શરૂ કર્યું છે. તેઓ પોતાના આવા પ્રયત્નથી સમાજમાં બદલાવ લાવા ઇચ્છે છે.
બાળકોમાં 'રૂખ્સાર દીદી'ના નામે જાણીતી આ હોંશિલી યુવતી તેમને ભણાવે પણ છે. રૂખ્સારે તમાકુ નહીં ખાવાની જાગૃતિ લાવવા માટે તમાકુ વિરોધી રેલીનું આયોજન પણ કરી ચૂક્યા છે. રૂખ્સાર માત્ર સમાજ નહીં પોતાના ઘરની પણ જવાબદાર વ્યક્તિ છે. તેણે કોલેજમાં ભણવા જવાની ઈચ્છા પડતી મૂકીને રૂપિયા 35,000 પોતાના નાનાભાઈને રીક્ષા લાવી આપવા આપી દીધા. રૂખ્સારનું કહેવું છે કે 'મારો નાનો ભાઈ સેટલ ન થયો હોય ત્યારે હું માત્ર મારા માટે કેવી રીતે વિચારી શકું?'

હર્ષા દરજી
પોતાના બાળકો અને પરિવારની સંભાળ લેતી એક ગૃહિણી ધારે તો શું કરી શકે તેનું ઉદાહરણ અમદાવાદના હર્ષા દરજીએ આપ્યું છે. અમદાવાદના રામાપીરના ટેકરાના રહેવાસીઓની સેવા કરતા હર્ષાબહેને પોતાની કારકિર્દી એક આંગણવાડી કાર્યકર્તા તરીકે શરૂ કરી હતી. આજે તેઓ 27થી વધુ કેન્દ્ર સંભાળે છે. છેલ્લા થોડા વર્ષોમાં ઘર અને કામ બંને સ્થળે મોટા મોટા પડકારોની સામનો કરવો પડ્યો.
આવી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢીને તેઓ આગળ વધ્યા અને આજે તેઓ આખા શહેરમાં ચાલતા કુલ 27 આંગણવાડી કેન્દ્રોની વિવિધ પ્રવૃત્તિઓ સંભાળે છે. તેઓ નબળા નવજાત શિશુ માટે પોતાના ઘરેથી ટીફીન બનાવીને મોકલવાનું હોય કે ક્ષય થી પીડાતી કોઈ બહેનની મદદ કરવાની હોય તો સૌ પહેલા મદદ માટે પહોંચી જાય.

અરુણા ચૌહાણ
અરુણા ચૌહાણે માત્ર 22 વર્ષની વયથી રક્તપિત્તના દર્દીઓના કલ્યાણનું બીડું ઝડપ્યું છે. ભેદભાવ અને ખોટી માહિતી સામે અડગ ઉભી રહી લડત આપી છે. બાળકોને ભણવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કરે છે અને રક્તપિત્ત સાથે જોડાયેલી માન્યતાઓ દુર કરનારી અરુણા સાચા અર્થમાં કર્મોયોગી સ્ત્રી છે.
અરુણા પોતાના સમુદાય આવા લોકોની સેવામાં કલાકો ગાળે છે. તેને બાળકો માટે કામ કરવું એને ખૂબ જ ગમે છે. શિક્ષક બનવાનું એણે ખૂબ નાની ઉંમરે નક્કી કરી લીધું હતું.
બે વર્ષથી તેઓ અમદાવાદના છત્રાલમાં આંગણવાડી શિક્ષક તરીકે કામ કરે છે. બીજા ને કહેતા પહેલા પોતે અમલ કરવો એ તેનો મંત્ર છે. બાળકોને અને ભણવાનું છોડી દીધું હોય તેવા વિદ્યાર્થીઓ ભણવાનું શરુ કરે તે માટે તેણે પોતે ફરીથી કોલેજ જવાનું શરૂ કર્યું. તેના આ પ્રયત્ન એ બીજી ઘણી દીકરીઓને ભણવાનું પૂરું કરવા પ્રેરણા આપી.

ડોલીબહેન પટેલ
ડોલીબહેન પટેલ ખાસ ભણેલા નથી. આમ છતાં તેમણે દૂધ ઉત્પાદન જેવા મહેનત માંગી લેતા કામમાં પોતાનું નામ કર્યું છે. તેઓ પોતાના ઘરની સાથે દૂધ ઉત્પાદનના વ્યવસાયને એકસાથે સંભાળવાની જબરી આવડત ધરાવે છે. દરેક વ્યક્તિ માટે તેઓ પ્રેરણારૂપ છે. તેમણે સાબિત કર્યું છે કે માત્ર શિક્ષિત હોય તે જ સફળ થઇ શકે એવું નથી.
દ્રઢ નિર્ધાર અને સખત પરિશ્રમ હોય તો કોલેજની ડીગ્રી વગર પણ સમૃદ્ધિ મેળવી જ શકાય. ડોલીબહેન 17 વર્ષથી દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરે છે. તેમની પાસે પોતાની 55 ગાય - ભેંસ છે અને દૂધ ઉત્પાદન દ્વારા તેઓ આશરે 20 લાખ રૂપિયા વાર્ષિક આવક મેળવે છે.












Click it and Unblock the Notifications
