ગુજરાત અર્બનાઇઝેશનમાં આવનારા 5 વર્ષમાં 75000 કરોડ રોકશે : મોદી
ગાંધીનગર, 27 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શહેરી વિકાસ એટલે કે અર્બનાઇઝેશનમાં અનેક તકો રહેલી છે. આ કારણે ગુજરાત વર્ષ 2012થી 2017 સુધીના પાંચ વર્ષોમાં રૂપિયા 75,000 કરોડનું રોકાણ કરશે.
ગાંધીનગરમાં શુક્રવારે શહેરી વિકાસ અંગેની એક વર્કશોપમાં સંબોધન કરતા જણાવ્યું કે "ગુજરાતમાં અત્યંત ઝડપથી શહેરીકરણ અને શહેરી વિસ્તરણ થઇ રહ્યું છે. આજે ગુજરાતની 42 ટકા વસતી શહેરોમાં વસે છે. વર્ષ 2011ના સેન્સસ પર નજર રાખીએ તો ગુજરાતની કુલ વસતી 6 કરોડ છે. વર્તમાન સમયમાં શહેરોની આસપાસની વસતીને ધ્યાનમાં લઇએ તો આગામી થોડા વર્ષોમાં ગુજરાતની 50 ટકા વસતી શહેરી વિસ્તારોમાં રહેતી થઇ જશે."
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "મોટા ભાગના લોકો શહેરીકરણ એટલે કે અર્બનાઇઝેશનને મોટો પડકાર માને છે અને આ સમસ્યાના ઉકેલ શોધી રહ્યા છે. જો કે આ મુદ્દે ગુજરાત જુદો વિચાર ધરાવે છે. રાજ્ય સરકાર માને છે કે શહેરીકરણ કોઇ સમસ્યા નથી. શહેરીકરણને તક માનીને તે પ્રમાણે આયોજન અને પ્લાનિંગ કરવું જોઇએ."
મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 13 વર્ષમાં ગુજરાતે શહેરી વિકાસમાં રોકાણ વધાર્યું છે. વર્ષ 2000માં શહેરીકરણ માટે રૂપિયા 127 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2013માં બજેટમાં રૂપિયા 5600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી છે. આગામી 5 વર્ષ એટલે કે વર્ષ 2012થી 2017 સુધીમાં ગુજરાત બીજા રૂપિયા 75000 કરોડનું રોકાણ કરશે.
સમગ્ર દેશની વાત કરીએ તો રીયલ એસ્ટેટમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. આ મંદીના માહોલમાં રીયલ એસ્ટેટમાં રોકાણ ઘટી રહ્યું છે ત્યારે ગુજરાતમાં તેમાં વધારો થઇ રહ્યો છે.