ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ 22 સાઇન કર્યા MoU
Gujarat University of Natural Agricultural Sciences: પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 22 સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU કર્યા હતા. આ MoUથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે, વિવિધ સંશોધનો થશે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ થશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને MoU કરનાર 22 સંગઠનોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આપે કરેલા MoU સામાન્ય MoU નથી.

આ પર્યાવરણની રક્ષાના MoU છે. જળ વ્યવસ્થાપનના MoU છે. ધરતીની ફળદ્રુપતા વધારવા માટેના MoU છે. ભારતીય નસલની દેશી ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટેના MoU છે. ખેડૂતોને અને જનઆરોગ્યને બરબાદ થતાં બચાવવા MoU છે. એક પ્રાકૃતિક ખેતીથી અનેક લાભ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ માટે 24 ટકા જવાબદાર રાસાયણિક ખેતી છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડના બેફામ ઉપયોગથી ફળ, શાકભાજી, અનાજ દૂષિત થઈ ગયા છે, પરિણામે જીવલેણ રોગો વધ્યા છે, અને જન આરોગ્ય પર ગંભીર અસરો થઈ છે. જમીનની ફળદ્રુપતા સાવ ઓછી થઈ ગઈ છે.
ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી આ તમામ પરેશાનીનો પર્યાય છે. જો પદ્ધતિસર પ્રમાણિકતાથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો સાવ નજીવા ખર્ચમાં, પ્રથમ વર્ષથી જ પૂરતું અને ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મળતું થઈ જાય છે.
તેમણે વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો. આ MoUથી સમાજમાં વિશેષ જાગૃતિ આવશે અને ખેડૂતોની તથા લોકોની માનસિકતા બદલાશે એમ તેમણે કહ્યું હતું.
રાજભવનમાં આયોજિત આ સમારોહમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડિયાએ 22 MoUની વિગતો આપી હતી.
આ પ્રસંગે મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરી, મહારાષ્ટ્રના કુલપતિ ડૉ. પી. જી. પાટીલ, કૃષિ નિયામક એસ. જે. સોલંકી, આત્માના નિયામક પ્રકાશ રબારી, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા પ્રફુલભાઈ સેંજલીયા, બાગાયત નિયામક ડૉ. પી. એમ. વઘાસિયા અને વિવિધ સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
