કમોસમી વરસાદને લઈ રાજ્ય સરકાર એક્શનમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં જવા CMએ મંત્રીઓને તાત્કાલિક સૂચના આપી
Gujarat News: ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાક અને માળખાકીય સુવિધાઓને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આજે એક્શનમાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ સિનિયર મંત્રીઓને તાત્કાલિક અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા માટે સૂચના આપી છે.

કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. તૈયાર થયેલો ઊભો પાક નિષ્ફળ ગયો છે, જેનાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
ખેતી અને રસ્તાઓને વ્યાપક નુકસાન
રાજ્યમાં થયેલા માવઠાને કારણે માત્ર ખેતી જ નહીં, પણ રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
- પાક નુકસાન: મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર સહિતના તમામ મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે.
- રસ્તાઓને નુકસાન: અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને નદીના બ્રિજ પરના ડાયવર્ઝન તૂટી જવાથી વાહનવ્યવહારને અસર થઈ છે.
મંત્રીઓને તાત્કાલિક નિરીક્ષણના આદેશ
નુકસાનનું આકલન કરવા અને જિલ્લા તંત્ર સાથે સંકલન સાધવા માટે મુખ્યમંત્રીએ વરિષ્ઠ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાનો નિર્ણય લીધો છે.
- સંકલનની જવાબદારી: મુખ્યમંત્રી દ્વારા કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા, નરેશ પટેલ અને જયરામ ગામિતને સંબંધિત જિલ્લા તંત્ર સાથે સંકલનમાં રહીને રાહત અને સર્વેની કામગીરી સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે.
સરકાર દ્વારા આ નુકસાનનો ઝડપી સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે દિશામાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
