Gujarat assembly : આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર, આ મહત્વના બિલ મુકાશે
Gujarat assembly : આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે, જેમાં રાજ્ય સરકાર કેટલાક મહત્વના બિલો રજૂ કરવા જઈ રહી છે. આ સત્રમાં જન વિશ્વાસ અને GST સંબંધિત બે મુખ્ય સુધારા બિલો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આજે રજૂ થનારા મુખ્ય બિલોમાં ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓનો સુધારો) બિલ, 2025 અને ગુજરાત માલ અને સેવા કર (બીજો સુધારો) બિલ, 2025 નો સમાવેશ થાય છે.

જન વિશ્વાસ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ગુનાઓને અપરાધમુક્ત કરવાનો છે. તેના હેઠળ 11 જેટલા રાજ્યના કાયદાઓમાં જેલની સજાની જોગવાઈઓને નાણાકીય દંડમાં રૂપાંતરિત કરવામાં આવશે.
આનાથી ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને કાયદાકીય પ્રક્રિયામાં રાહત મળશે. આ બિલમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ કાયદો, શ્રમ કલ્યાણ ભંડોળ કાયદો, નગરપાલિકા કાયદો, એપીએમસી કાયદો, અને અન્ય મહત્વના કાયદાઓનો સમાવેશ થાય છે.
GST સુધારા બિલ કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણો અનુસાર ગુજરાતના કાયદાને કેન્દ્રીય GST કાયદા, 2017 સાથે સુસંગત બનાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. આનાથી રાજ્યમાં GST સંબંધિત નિયમોમાં એકરૂપતા જળવાઈ રહેશે.
આ સત્ર દરમિયાન અન્ય ત્રણ મહત્વના બિલો પણ રજૂ થશે, જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ફેક્ટરીઝ (ગુજરાત સુધારો) બિલ 2025 અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ (સુધારો) બિલ, 2025 તથા ગુજરાત મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ (નોંધણી અને નિયમન) (સુધારો) બિલ, 2025નો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
