ગુજરાત વિધાનસભામાં બજેટસત્રના આરંભે હોબાળો
સત્રના આરંભે ગૃહના નવા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મુખ્યમંત્રી રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અધ્યક્ષ પદની ખુરશી સુધી લઈ ગયા હતા.
આજથી ગુજરાતની 14મી વિધાનસભાનું બજેટ સત્ર નવા વિધાનસભા ભવનમા શરૂ થયું છે. સત્રના આરંભે ગૃહના નવા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મુખ્યમંત્રી રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અધ્યક્ષ પદની ખુરશી સુધી લઈ ગયા હતા. અને તમામ વિધાનસભ્યોએ રાજેન્દ્ર ત્રિવેદીને વધાવી લીધા હતા. જોકે આટલી સદભાવ ના બતાવ્યા બાદ વિપક્ષે હોબાળો કરવાનો શરૂ કર્યો હતો. પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગૃહમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી પ્રવચન આપી રહ્યાં હતાં, ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પાણીની અછતા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામાની માગ કરી હતી. ભારે હોબાળાના કારણે ગવર્નરેે માત્ર મિનિટમાં જ પ્રવચન પૂરું કરવું પડ્યું હતું.
ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી સરકાર દ્વારા ચૂંટણી લક્ષી બજેટ લજૂ કરવામાં આવશે. વિજય રૂપાણી સરકારનું પહેલું બજેટ છે. લોકોને વધુને વધુ રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા સત્રની કામગીરીની વધુ વિગતો મુજબ આ સત્ર દરમિયાન સભાગૃહ કુલ ૨૬ દિવસ મળશે યોજાશે અને તેની ૨૮ બેઠકોમાં સત્રને લગતી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સત્રમાં અત્યાર સુધી કુલ ૯ સરકારી વિધેયકોની સૂચના દાખલ કરવામાં આવી છે.
જે ૯ સરકારી વિધેયકો રજૂ થનાર છે તેમાં ગુજરાત નશાબંધી વિધેયક, સિગારેટ અને તમાકુની અન્ય બનાવટ પર નિયંત્રણને લગતું વિધેયક, નગર રચના અને શહેરી વિકાસ જેવા વિધેયકો રજૂ થશે. આ ઉપરાંત પણ હવે પછી સરકાર અન્ય અગત્યના વિધેયકો રજૂ કરશે. તેમજ અગાઉના સત્રોમાં દાખલ થયેલાં કુલ-૧ર બિન સરકારી વિધેયકોની પણ સભાગૃહમાં વિચારણા થશે.
આ સત્ર દરમિયાન સન-૨૦૧૭-૨૦૧૮ને લગતું અંદાજપત્ર રજૂ કરાશે. જેના પર ચાર દિવસ સામાન્ય ચર્ચાઓ તેમજ માગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ દિવસ ફાળવાયા છે. સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે ખર્ચનું પૂરક પત્રક પણ ૨૧મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે, જેના પર બે બેઠકોમાં ચર્ચા થશે. સત્રના અંત ભાગમાં અંદાજપત્રમાં રજૂ થયેલ નાણાકીય દરખાસ્તોને કાયદાનું રૂપ આપતા વિનિયોગ વિધેયક અને નાણા વિધેયકો પણ રજૂ થશે.