ગુજરાતમાં નળ દ્વારા મળતા પાણીની ગુણવત્તામાં ઘટાડો, જલ શક્તિ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતે દરેક ઘરમાં નળ કનેક્શન હોવાનો દાવો કર્યો છે, પરંતુ પાણીની ગુણવત્તા અને જથ્થાની બાબતમાં રાજ્ય રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ રહી ગયું છે.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના વર્ષ 2024ના ફંક્શનાલિટી એસેસમેન્ટ રિપોર્ટ અનુસાર, રાજ્યમાં પાણી પુરવઠાની સ્થિતિ ચિંતાજનક જોવા મળી છે.

નવા અહેવાલ મુજબ, ગુજરાતમાં માત્ર 47.3% ઘરોને જ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણી મળી રહ્યું છે, જે ખૂબ જ ઓછું પ્રમાણ છે. આ આંકડો રાષ્ટ્રીય સ્તરની 76% સરેરાશની સરખામણીમાં ઘણો નીચો હોવાનું સામે આવ્યું છે, જે સિસ્ટમ સામે પ્રશ્નો ઉભા કરે છે.
પાણીના જથ્થાની વાત કરીએ તો, ગુજરાતના માત્ર 58.7% ઘરોને જ વ્યક્તિદીઠ દૈનિક 55 લિટર પાણી મળે છે, જે મિશનનો લક્ષ્યાંક છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ સરેરાશ 80.2% છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં હજુ ઘણું કામ બાકી છે.
ગાંધીનગરમાં તાજેતરમાં ટાઈફોઈડના 100થી વધુ કેસ નોંધાયા છે, જે પાણીના પ્રદૂષણને કારણે થયા હોવાની આશંકા મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કરી છે. ગટરના પાણીનું પીવાના પાણીમાં મિશ્રણ થવાને કારણે આ ગંભીર બીમારી ફેલાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રિપોર્ટના આંકડા મુજબ અમદાવાદમાં માત્ર 46.1% અને ગાંધીનગરમાં માત્ર 31.9% ઘરોમાં જ પીવાલાયક શુદ્ધ પાણી પહોંચી રહ્યું હોવાનું નોંધાયું છે. તંત્ર દ્વારા લીકેજ રિપેરિંગ અને ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી કરીને નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકાય.












Click it and Unblock the Notifications
