Gujarat Weather: રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ, 177 તાલુકામાં વરસાદ
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી માહોલ રહેશે. અમુક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસમાં રાજ્યના અમુક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આઈએમડી મુજબ ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસમાં 40 કિમી ઝડપે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 19 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 21 સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ તેમજ કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તમને જણાવી દઈએ કે લો પ્રેશર સક્રિય થતા વરસાદનુ જોર ચાલુ રહેશે. નોંધનીય છે કે ગઈ કાલે રાજ્યમાં 177 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પંચમહાલના ગોધરામાં 9 ઈંચ વરસાદ થયો છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ હતી. અમુક ટ્રેનો રદ કરવામાં આવી હતી.
ભારે વરસાદ અને નર્મદામાં પૂરની સ્થિતિનાં કારણે પાંચ જીલ્લામાં કુલ 9613 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. જેમાં ભરૂચ જીલ્લામાં 5744, નર્મદા જીલ્લામાં 2317, વડોદરા જીલ્લામાં 1462 લોકો, દાહોદ જીલ્લામાં 20, પંચમહાલ જીલ્લામાં 70 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 5 જીલ્લામાં 207 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદનાં કારણે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીને લઈ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો એલર્ટ પર છે. ભરૂચ અને જૂનાગઢમાં 1-1, નર્મદામાં-2 એનડીઆરએફની ટીમ એલર્ટ પર છે. જ્યારે પંચમહાલ, રાજકોટ અને વડોદરામાં એનડીઆરએફની 1-1 ટીમ એલર્ટ પર છે. બનાસકાંઠા, ભરૂચ અને દાહોદમાં એસડીઆરએફની 1-1 ટીમ તૈનાત છે. નર્મદા અને વડોદરામાં 3-3 ટીમ એલર્ટ પર છે.












Click it and Unblock the Notifications
