Gujarat News: કોમનવેલ્થ ગેમ્સ 2030ની ગુજરાતને મળી યજમાની, ચિંતન શિબિરમાં ઉષ્માભર્યું સ્વાગત
Gujarat News: વલસાડના ધરમપુર ખાતેની ચિંતન શિબિરમાં ખુશીનો માહોલ, ઢોલ-નગારા, આતિશબાજી અને આદિવાસી નૃત્યથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત, CM પટેલે યજમાનીને PM મોદીના વિઝનનું પરિણામ ગણાવ્યું, ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ ઓલિમ્પિક્સની યજમાની માટે પ્રયાસો ચાલુ રાખવાની વાત કરી.

ગુજરાત રાજ્યને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી હોવાના ઐતિહાસિક સમાચારને પગલે વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આયોજિત 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસની ઓર' થીમ આધારિત ચિંતન શિબિરમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઢોલ-નગારા, આતિશબાજી અને ગાજે-બાજે વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉત્સવનો માહોલ અને CMનો પ્રતિભાવ
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશીની ક્ષણને વહેંચી હતી. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આદિવાસી નૃત્ય રજૂ કરીને આ ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કર્યું હતું. આકાશમાં આતિશબાજી અને ગુબ્બારા ઉડાડીને યજમાનીના જશ્નને ઉજવવામાં આવ્યો હતો.
CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે,
"કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દૂરંદેશીનું પરિણામ છે. તેમનું વિઝન છે કે જો કોઈ દેશ આ કરી શકે, તો ભારત પણ કરી શકે છે. આ જ વિશ્વાસ સાથે આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ."
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પ્રયાસોથી ભારતને આ યજમાની મળી છે અને તેમના માર્ગદર્શન હેઠળ ભારતને સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં પગલાં લેવાઈ રહ્યા છે.
ઓલિમ્પિક્સની યજમાની તરફ નજર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં જણાવ્યું,
"કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેવા સમયે ગુજરાતને નેતૃત્વનો આ અવસર મળવો એ ગૌરવશાળી ક્ષણ છે. PM નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં જે પરિશ્રમ કર્યો હતો, તેનું ફળ આજે આપણને મળ્યું છે."
તેમણે CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યું હોવાનું જણાવ્યું અને સાથે જ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે, જે રીતે કોમનવેલ્થની યજમાની મળી છે, તે જ રીતે ઓલિમ્પિક્સની યજમાની પણ મળે તે માટે પ્રયાસો ચાલુ રહેશે.
આ અવસર પર મંત્રીમંડળના તમામ સભ્યો, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ અને અન્ય વરિષ્ઠ IAS અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
