ગુજરાતના રાજકારણમાં મોટા રાજકીય ફેરફારના એંધાણ !
વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપી દિધું હતું, પરંતુ ગુજરાતમાં આગામી 3 ફેબ્રુઆરીના રોજ 77 નગર પાલિકા અને 150થી વધુ તાલુકા પંચાયતોની ચુંટણી યોજાવવાની હોવાથી તેમને પદ પર ટકી રહેવાનું કહેવામાં આવ્યું છે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ આર સી ફળદુનો ત્રણ વર્ષનો કાર્યકાળ ડિસેમ્બરમાં પુરો થઇ ચૂક્યો છે. તેમના સ્થાન પર ભાજપ નવા અધ્યક્ષની શોધ કરી રહી છે. પરંતુ સ્થાનિક ચુંટણીઓના કારણે ભાજપ અને કોંગ્રેસ પોતાના કેપ્ટન બદલવાના મૂડમાં નથી.
વિપક્ષના નેતા તરીકે શંકરસિંહ વાધેલાની વરણી બાદ અધ્યક્ષ પદ માટે પૂર્વ વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ મુધુસૂદન મિસ્ત્રી, રાઘવજી પટેલના નામની ચર્ચા થઇ રહી છે. સાંસદ પદેથી રાજીનામુ આપી વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસ પર દબાણ નાખી રહેલા વિઠ્ઠલ રાદડિયાને પણ અધ્યક્ષ બનાવી શકાય છે, પરંતુ તેમની તેમની 'ભાઇ' વાળી છાપના કારણે વિધ્નો ઉભા થઇ રહ્યાં છે. જ્યારે ભાજપના અધ્યક્ષ પદ માટે મહાસચિવ તથા પૂર્વ સાંસદ વિજય રૂપાણી, પ્રદેશ પ્રવક્તા આઇ કે જાડેજા, પૂર્વ મંત્રી કૌશિક પટેલ જેવા વગેરે નેતાઓના નામની ચર્ચા થઇ રહી છે. ડિસેમ્બરમાં પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદૂનો કાર્યકાળ પૂરો થઇ ગયો છે ફેબ્રુઆરીના અંત સુધી નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવે તેવી સંભાવના છે. જોકે અધ્યક્ષ માટે ભૂપેન્દ્ર સિંહ ચુડાસ્મા પણ પ્રબળ દાવેદાર છે, પરંતુ તેમને મંત્રી બનાવ્યા બાદ સંગઠનમાં તેમની ભૂમિકા નામશેષ રહી ગઇ છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દિલ્હી યાત્રા દરમિયાન 2014માં યોજાનારી લોકસભાની ચુંટણીને લઇને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે થયેલી ચર્ચામાં રાષ્ટ્રીય રાજનિતીમાં સક્રિય તેમની સક્રિય ભૂમિકા સાથે જોડીને જોવામાં આવી રહી છે જેથી કરીને પ્રદેશમાં તેમના ઉત્તરાધિકારીઓના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. સંગઠનમાં નરેન્દ્ર મોદીના જમણા હાથ માનવામાં આવતાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલા તથા મંત્રીમંડળમાં નરેન્દ્ર મોદીના ખાસ નાણામંત્રી નિતિન પટેલ, આનંદીબેન પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલને નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી માનવામાં આવે છે. જો કે પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીના રૂપમાં જોવામાં આવતાં હતા, પરંતુ સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરમાં ફસાયેલા હોવાથી તેમને હાલ સરકારથી દૂર રાખવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે સીબીઆઇએ સોહરાબુદ્દીનના સાથી તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં પણ તેમની સંડોવણી હોવાનું કહેવામાં આવે છે માટે અમિત શાહના કેસમાં ભાજપ સાચવીને પગલાં માંડી રહી છે.