હાર્દિકના પરિજનોને પણ ઘરે જતાં અટકાવાતા હોવાનો આરોપ
હાર્દિકના પરિજનોને પણ ઘરે જતાં અટકાવાતા હોવાનો આરોપ
અમદાવાદઃ તબીબી સારવાર મેળવ્યા બાદ રવિવારે હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી હતી. રજા મળતાની સાથે જ હાર્દિક પટેલે ફરી ઉપવાસ આંદોલન સક્રિય કરી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જરૂરી સારવાર મેળવી લીધી છે પણ પેટમાં એક દાણોય ઉતરવા નથી દીધો અને માગણી નહી સંતોષાય ત્યાં સુધી આ લડાઈ યથાવત રહેશે.
પોલીસે વધુ કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ હાર્દિક પટેલ ગ્રીનવુડ રિસોર્ટમાં ઉપવાસ પર બેઠો છે. પરિવારના સભ્યોને પણ પોલીસ ગેટ પર જ રોકતી હોવાનો હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલે અગાઉ જ પોલીસને વિનંતી કરી હતી કે તેના પરિવારના સભ્યોને અટકાવવા નહીં, છતાં આજે પોલીસે હાર્દિક પટેલના ભાઈને ગેટ પર જ અટકાવ્યો હતો જેને પગલે ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલે પોતાના ભાઈને લેવા ગેટ પર આવવું પડ્યું હતું.
બીજી બાજુ પોલીસ ડીસીપી રાઠોડ પર ગંભીર આરોપ લગાવતા હાર્દિક પટેલે કહ્યું હતું કે "અમદાવાદના ડીસીપી રાઠોડે મને કહ્યું કે મારી નાખીશ, હવે જીવતા રાખવાનો અને મારવાનો ઠેકો પણ યમરાજે રાઠોડ જેવા પોલીસ અધિકારીને આપી દીધો છે કે શું?" ઉલ્લેખનીય છે કે રવિવારે કવરેજ કરવા પહોંચેલા પત્રકારો સાથે પણ પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. હાર્દિકે કહ્યું હતું કે તેના ઘરની બહાર વાઘા બોર્ડર જેવો માહોલ બનાવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આજે PAASની અરજી મામલે હાઈકોર્ટમાં પણ સુનાવણી થનાર છે. આ પણ વાંચો- પોલીસે મારા ઘરની બહાર વાઘા બોર્ડર જેવો માહોલ બનાવી દીધોઃ હાર્દિક પટેલ