હર્ષ સંઘવીએ ગોંડલમાં 4 કરોડમાં બનેલુ પોલિસ સેનાપતિ કચેરીનું કર્યુ લોકાર્પણ, લાઇબ્રેરીનું કર્યુ નિરીક્ષણ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે અંદાજિત રૂ. ૪ કરોડના ખર્ચે બનેલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮ની નવનિર્મિત સેનાપતિ કચેરીનું લોકાર્પણ કર્યું હતું, અને મિયાવાકી વાન ખાતે વૃક્ષારોપણ કરી પરેડ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી અને સ્મારક વનનું નિરીક્ષણ કર્યું હતું.
હર્ષ સંઘવીના આગમન સમયે નવનિર્મિત પોલિસ કચેરી ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર પેશ કરવામાં આવ્યું હતું. બાલિકાઓના કુમકુમ તિલક બાદ હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા રૂ. ૩ કરોડ ૯૬ લાખના ખર્ચે ૨૭૬૭.૪૨ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલ સેનાપતિ કચેરીના તમામ ખંડો અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અને જરૂરી સૂચનો કર્યા હતા.

સંઘવીએ કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું. મિયાંવાકી વન અને શહીદ સ્મારકની મુલાકાત લીધી હતી. તેમણએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ સુવિધા ધરાવતી હાલમાં નવું સંસ્કરણ પામેલી લાયબ્રેરીની પણ મુલાકાત લીધી હતી.
હર્ષ સંઘવીએ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પાંચાણી ફાઉન્ડેશનના સહયોગથી બનેલ મિયાવાકી સુરક્ષા વનનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ પર્યાવરણના જતન અર્થે વૃક્ષારોપણ કર્યું હતું. આ મિયાવાકી વનમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી પાંચાણી ફાઉન્ડેશને ઉપાડી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, નગરપાલિકાના કારોબારી સમિતિના પ્રમુખ ઓમદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાર્ગવભાઈ અન્દીપરા, ગોંડલ સહકારી બેંકના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અગ્રણી રીનાબેન ભોજાણી, બાબુભાઈ ડોળીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, રેન્જ આઇ.જી. અશોક યાદવ, રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ પ્રફુલભાઈ વાણિયા, પ્રાંત અધિકારી રાજેશભાઈ આલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દીહોરા, ગોંડલ ડીવાય.એસ.પી. ઝાલા, પાંચાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ પાંચાણી, પોલિસ જવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.












Click it and Unblock the Notifications
