દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ : અમદાવાદ મુંબઇ વચ્ચેની ટ્રેન સેવાને માઠી અસર
અમદાવાદ, 29 જુલાઇ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ શરૂ કરતા જનજીવનને માઠી અસર પહોંચી છે. મેઘાએ બોલાવેલા દેકારાથી અમદાવાદ મુંબઇ વચ્ચે ચાલતી પશ્ચિમ રેલવેની ટ્રેન સેવાઓ ખોરવાઇ છે. મોટા ભાગની ટ્રેન નિયત સમય કરતા બેથી ત્રણ કલાક મોડી ચાલી રહી છે.
પ્રાપ્ત અહેવાલઓ અનુસાર ગઇ કાલથી દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ખાસ કરીને, વલસાડ, નવસારી, સુરત અને વાપી સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પરિણામે સ્થાનિક જનજીવન તો ખોરવાયું જ છે પરંતુ અમદાવાદ અને મુંબઈ રૂટ પરની ટ્રેન સેવાને પણ માઠી અસર પડી છે.

આ દરમિયાન હવામાન વિભાગની આગાહી છે કે પશ્ચિમી મધ્યપ્રદેશની સાથે ગુજરાતમાં સર્જાયેલાં અપર એર સાઈક્લોનિકની અસરને કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં સામાન્યથી અતિ અને અતિ ભારે વરસાદ વરસી શકે છે.
કઇ કઇ ટ્રેન્સને કેવી અસર?
- વલસાડ-દાહોદ, વલસાડ-વિરમગામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે.
- શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ, સિકન્દ્રાબાદ એક્સપ્રેસ બે કલાક જેટલી મોડી છે.
- કર્ણાવતી એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ જેવી અન્ય ટ્રેનો પણ મોડી દોડી રહી છે.
- રેલવે રૂટ ઉપરાંત અમદાવાદ - મુંબઇ હાઈવેની સ્થિતિ પણ ધોધમાર વરસાદને કારણે ત્રાસજનક બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં ગઈ મોડી રાતથી ચાલુ રહેલા ભારે વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી રાતથી મંગળવાર સવાર સુધીમાં અંદાજે 12 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે. વાપીમાં પણ સાડા સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વલસાડના 14 ગામોમાં ભારે વરસાદને પગલે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉંમરગામના તિંડી ગામમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ગામના 150 પરિવારોને નજીકના ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે.
ભારે વરસાદને કારણે વડોદરાથી NDRF(નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ વલસાડ જવા રવાના થઇ ગઈ છે. વલસાડના 14 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. બીજી તરફ વલસાડના કલેક્ટરે તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી.












Click it and Unblock the Notifications
