JEE એડવાન્સ 2017:ભારતના ટોપ 100માં 4 ગુજરાતી વિદ્યાર્થીઓ
આઇઆઇટી જેઇઇ 2017નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. ભારતના ટોપ 100માં 4 ગુજરાતી વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
રવિવારના રોજ સવારે 10 કલાકે આઇઆઇટી જેઇઇના પરિણામો જાહેર થયા હતા. સમગ્ર દેશમાંથી 1 લાખ 70 હજાર વિદ્યાર્થીઓએ જેઇઇ એડવાન્સની પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતના 8 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે, જેઇઇ એડવાન્સમાં સમગ્ર ભારતના ટોપ 100 વિદ્યાર્થીઓમાં 4 ગુજરાતી વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
સુરતના યતિશ અગ્રવાલ તથા અમદાવાદના પિયુષ તિબ્રવાલ, સાત્વિક મસ્કારિયા અને વેદાંત રાવલે ભારતના ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. રાજસ્થનના કોટામાં અભ્યસ કરી રહેલ યતિશ અગ્રવાલ ભારતમાં 12 રેંક પર છે. સમગ્ર ભારતમાં 37મો રેંક પ્રાપ્ત કરનાર પિયુષ તિબ્રવાલ પણ કોટામાં જ અભ્યાસ કરે છે. અમદાવાદનો સત્વિક મસ્કારિયા સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં 42માં ક્રમે છે. અમદાવાદનો વેદાંત રાવલ સમગ્ર ભારતમાં 82માં અને સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે છે.
ગુજરાતની ત્રણ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સની પરીક્ષામાં ક્વોલિફાય થયા છે. ઉલ્લેખનીય છે કે, જેઇઇ એડવાન્સના પેપરમાં ત્રણ અસ્પષ્ટ પ્રશ્નોને કારણે વિદ્યાર્થીઓને 18 માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે, જે અંગે રેંકર વિદ્યાર્થીઓએ નારાજગી જાહેર કરી છે. તેમનું કહેવું છે કે, ગ્રેસિંગને કારણે રેંકર વિદ્યાર્થીઓને નુકસાન થાય છે.