અમદાવાદમાં ડિમોલિશન: પત્થરમારો, 200 જવાનો ખડેપગે
અમદાવાદ, 28 માર્ચ: અમદાવાદમાં આજે બપોરે જેના કારણે સમગ્ર રાજ્યનું ધ્યાન તેની તરફ આકર્ષિત થયું છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એએમસીએ લોકોના આશિયાનાને જમીન દોસ્ત કરવા માટે અત્રે બુલડોજર, ક્રેન અને પોલીસોના કાફલા સાથે આવીને ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
કોર્પોરેશનની આ કામગીરીના પગલે રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો, અને તેમની પર પત્થરમારો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મહિલાઓ પણ પોલીસી સામે લડવા માટે ઉતારુ થઇ ગઇ હતી જેમને રોકવા માટે ખાસ મહિલા પોલીસને બોલાવવામાં આવી હતી.
આ ઘટનાથી રોષે ભરાયેલા કેટલાંક ઇસમોએ ત્રણ એએમટીએસ બસ અને એક એમ્બ્યુલંસના કાચ તોડી નાખ્યા હતા. અત્યાર સુધી આ ઘટનામાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે જુહાપુરના આ વિસ્તારમાં સ્થિતિ એટલી તંગ બનેલી છે કે જેને કાબુમાં લેવા માટે અત્રે 200થી પણ વધારે પોલીસ જવાનોને ખડેપગે કરી દેવામાં આવ્યા છે.