બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું, જાણો ગુજરાત માટે કેટલો મોટો ખતરો?
બંગાળની ખાડીમાં સર્જાયેલી બે સંભવિત ચક્રવાતી સિસ્ટમને લઈને ગુજરાતના હવામાન અંગે એક મોટું અપડેટ આવ્યું છે.
હાલમાં એક તરફ સેન્યાર નામનું ચક્રવાત સક્રિય છે, તો બીજી તરફ દિત્વાહ નામનું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. હવામાન વિભાગે આ બંને સિસ્ટમની ગુજરાત પરની અસર અંગે સ્પષ્ટતા કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.
સેન્યાર વાવાઝોડું : આ સિસ્ટમની મુખ્ય અસર હાલમાં ઇન્ડોનેશિયા અને મલેશિયાના વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેથી ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોને આનાથી કોઈ સીધો ખતરો નથી.
દિત્વાહ વાવાઝોડું : આ ચક્રવાત ભારતની નજીક છે અને ભારતીય રાજ્યો માટે સંભવિત અસર ઊભી કરી શકે છે. દિત્વાહ નામ યમન દ્વારા સૂચવવામાં આવેલું છે.
હાલમાં આ વાવાઝોડું ચેન્નાઈથી લગભગ 700 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પોટ્ટુવિલ નજીક સ્થિત છે.
હવામાન વિભાગના મોડેલિંગ અનુસાર, દિત્વાહ વાવાઝોડું શ્રીલંકા પરથી આગળ વધીને ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં ફંટાઈ શકે છે.
આ સિસ્ટમ 30 નવેમ્બરની શરૂઆતમાં ઉત્તરીય તમિલનાડુ-પુડુચેરી-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. આ સંભવિત માર્ગને કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વરસાદી અસર જોવા મળી શકે છે.
વર્તમાન ટ્રેક મુજબ દિત્વાહ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના હવામાન પર થવાની શક્યતા નથી.
ચક્રવાતની સીધી અસર ન હોવા છતાં રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. ખાસ કરીને રાત્રિના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
ગુજરાત માટે વાવાઝોડાનો ખતરો નથી, પરંતુ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યભરમાં લોકોએ આગામી દિવસોમાં ઠંડીથી બચવા માટે તૈયાર રહેવું પડશે.












Click it and Unblock the Notifications
