ગુજરાતમાં ચૂંટણી પહેલાં ત્રિપાંખીયા જંગના એંધાણ!
ગુજરાતના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ત્રિપાંખીયા જંગના એંધાણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ત્રિપાંખીયા જંગના એંધાણ જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાતા રાજકીય જંગમાં આ વખતે આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રીએ બંને રાજકીય પક્ષોની ઉઁઘ હરામ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ જે રીતે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં પોતાની મતબેંક વધારી છે, સુરત અને ગાંધીનગરમાં પોતાના કોર્પોરેટરને ચૂંટવામાં પણ આપ સફળ થયું છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ માટે ખતરાની ઘંટી ઉભી થઇ ગઇ છે.

આમ આદમી પાર્ટી દ્વારા જુદા જુદા લોકોને સ્પર્શતા સીધા મુદ્દાઓને લઇને જન સંપર્ક વધારી દીધો છે અને લોક ચાહના કેળવી રહ્યા છે. આપના કાર્યકરો સીધા લોક સંવાદ કેળવીને પોતાના તરફી જુવાળ વધારી રહ્યા છે. ત્યારે, બે દાયકાથી વધુ સત્તામાં રહેલી ભાજપને પણ હચમચાવી દીધું છે. જોકે, રાજકીય વિશ્લેષકો આમ આદમી પાર્ટીની વધુ સફળતા ભાજપ માટે સંજીવનીનું કામ કરશે અને જેટલા આમ આદમી પાર્ટી વધુ વોટ શેર મેળવશે તેટલો ભાજપને જીતનો પાયો મજબુત બનશે તેવું માને છે.
ગુજરાતમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસનો સીધો સંગ્રામ નહી હોય પરંતું, આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફેરફાર કરનારો પક્ષ હશે તે નિશ્ચિત છે. આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાઓના આંટા ફેરા ગુજરાતમાં વધી ગયા છે. આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ અને પ્રભારી સંદિપ પાઠક ખુદ મોરચો સંભાળી રહ્યા છે. તો, ભાજપ પણ લોકસંપર્ક કેળવીને સક્રિય થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મોરચો સંભાળીને ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટૂંકા ગાળામાં જ ઉત્તર ગુજરાતમાં દિયોદર, સૌરાષ્ટ્રમાં રાજકોટ, દક્ષિણ ગુજરાતમાં નવસારી અને મધ્ય ગુજરાતમાં વડોદરાનો પ્રવાસ કર્યા બાદ હજુ વધુ પ્રવાસ કરી કાર્યકરોને સક્રિય કરશે. જ્યારે, કોંગ્રેસ હજુ પણ ઉંઘમાં હોય તેમ સ્થાનિક નેતૃત્વ પર નિર્ભર જોવા મળી રહ્યુ છે. પરંતું, ભાજપ અને કોંગ્રેસની લડાઇમાં આમ આદમી પાર્ટીનો ઉદય મોટો અપસેટ સર્જનાર બની રહે તો નવાઇ નહીં.












Click it and Unblock the Notifications
